હીરાભાઇ જોટવાના સમર્થનમાં આહીર સમાજ મેદાને, આવતીકાલથી તાલુકા-જિલ્લામાં આવેદન
મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા અને તેના પુત્રની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું
મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે હીરાભાઇ જોટવાના સમર્થનમાં હવે આહીર સમાજ મેદાને આવ્યો છે. આહીર સમાજ દ્વારા મંગળવારે તથા બુધવારે તાલુકા અને જિલ્લા મથકોમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.
કોંગ્રેસ નેતા અને આહીર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ધરપકડના વિરોધમાં સમગ્ર ગુજરાતનો આહીર સમાજ એકજુથ થઈને તેમના સમર્થનમાં આવ્યો છે. આહીર સમાજ દ્વારા આગામી મંગળવાર અને બુધવારના રોજ રાજ્યભરના તમામ તાલુકા અને જિલ્લા મથકોએ આવેદનપત્ર પાઠવવામાં આવશે.
આહીર સમાજના આગેવાનોએ તમામ સમાજ બંધુઓને આ કાર્યક્રમમાં જોડાવા અને જ્યાં સંકલન ન થયું હોય ત્યાં આગેવાનોની હાજરીમાં આવેદનપત્ર આપવા સૂચન કરાયું છે.
મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો હીરાભાઈ જોટવાના સમર્થનમાં પોસ્ટ મૂકી રહ્યા છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. હીરાભાઈ જોટવા, જે આહીર સમાજમાં એક મોટું નામ ધરાવે છે, તેમની ધરપકડથી સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.