મોરબીકાંડ પછી ઐતિહાસિક સ્થળો દત્તક લેવામાં કોર્પોરેટ હાઉસોની પીછેહઠ
દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા સહિત ઘણી ઐતિહાસિક ઈમારતોને કોર્પોરેટ કંપનીઓને દત્તક આપી દેવાઈ છે. આ કોર્પોરેટ કંપનીઓ ઐતિહાસિક ધરોધરની જાળવણી કરી રહી છે. ગુજરાતમાં પણ ટુરિઝમ વિભાગે આ યોજના પ્રસ્તુત કરી હતી પણ તેને પ્રતિસાદ સાંપડ્યો ન હતો. મોરબી પુલ દુર્ધટનામાં ઓરેવા કંપની સામે થયેલ કાર્યવાહી બાદ એકેય કોર્પોરેટ કંપનીએ આ યોજનામાં રસ દાખવ્યો ન હતો . આખરે આ યોજનાનું બાળમરણ થયુ હતું.
પ્રવાસન વિભાગે દેશમાં ઐતિહાસિક સ્થળોને કોર્પોરેટ કંપનીઓને દત્તક આપી જાળવણી કરવા યોજના ઘડી છે. આ જ થીમ આધારે ગુજરાતમાં પણ ટુરિઝમ વિભાગે દત્તક યોજના ઘડી કાઢી હતી. ગુજરાતમાં રાણકી વાવ, મોઢેરા સ્થિત સૂર્યમંદિર, ચાંપાનેર, જૂનાગઢનો મકબરો ઉપરાંત પાવાગઢ સહિત કુલ મળીને 19 ઐતિહાસિક સ્થળોની પસંદગી કરાઇ હતી. હાલ ઘણાં એતિહાસિક સ્થળો એવા છે જે ઘણીધોરી વિનાના પડી રહ્યા છે. આ સ્થળોની કોઇ જાળવણી કરનાર નથી સાથે સાથે પ્રવાસીઓને આ સ્થળોએ કોઇ સુવિધા મળથી નથી.
ઐતિહાસિક સ્થળોની જાળવણી થઇ શકે, સ્વચ્છતા જળવાય, પ્રવાસીઓને સુવિધા મળી રહે.
આ બધાય કારણોસર ગુજરાતમાં દત્તક યોજના લાગુ કરવામાં આવી હતી. એટલુ જ નહીં, ગુજરાતની કોર્પોરેટ કંપનીઓને ઐતિહાસિક સ્થળો દત્તક લેવા પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી. આમ છતાંય એકેય કોર્પોરેટ કંપનીએ ઐતિહાસિક સ્થળને દત્તક લેવામાં રસ દાખવ્યો ન હતો. ગુજરાત ટુરિઝમની દત્તક યોજનાને જાણે નબળો પ્રતિસાદ સાંપડડ્યા હતો. આખરે આખીય દત્તક યોજના અભેરાઈએ મૂકી દેવાઈ હતી.
એક તરફ, પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે તેવી યોજનાઓનું બાળમરણ થઈ રહ્યું છે. ટુરિઝમ વિભાગ દ્વારા મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે પણ અમલના મીંડું છે. ગુજરાતમાં સાંસ્કૃતિક વારસા સમાન ઘણી ઐતિહાસિક ધરોધર જોવાલાયક છે પણ ગુજરાત ટુરિઝમ વિભાગને પ્રવાસીઓ આકર્ષાય તેમાં રસ જ નથી.