ખંભાળિયાના દાતા ગામે બે ક્ષત્રિય જૂથ વચ્ચે હત્યાના પ્રકરણમાં આરોપીનો નિર્દોષ છુટકારો
ખંભાળિયા તાલુકાના દાતા ગામે વર્ષ 2017 ના સમયગાળામાં રાત્રીના સમયે ક્ષત્રિય જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં બંને પક્ષે ખૂન તેમજ ખૂનની કોશિશ વિગેરે અંગેનો ગુનો ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં દાતા ગામના ભાવસિંહ ઉર્ફે ભાવુભા હેમુભા જાડેજાએ આ જ ગામના જશવંતસિંહ બાલુભા, મહાવીરસિંહ અખુભા, બળવંતસિંહ દોલુભા, કનકસિંહ પ્રભાતસિંહ જાડેજા, રાજુભાઈ ભીમાભાઈ સરસીયા વિગેરે આશરે 36 છેલ્લા આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 302, 307, 324, 427, 148, 149 વિગેરે મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સામાપક્ષે દાતા ગામના બલવંતસિંહ ભરતસિંહ જાડેજાએ ભાવુભા હેમભા જાડેજા, વિક્રમસિંહ હેમભા, દીપસિંહ હેમભા, નરેન્દ્રસિંહ હેમભા જાડેજા વિગેરે 10 શખ્સો સામે આઈ.પી.સી. કલમ 302, 307, 143, 147, 148 વિગેરે હેઠળ ક્રોસ ફરિયાદ દાખલ કરાવી હતી.આ સમગ્ર પ્રકરણમાં બંને પક્ષે એક-એક આસામીનું મૃત્યુ થયું હતું. જેની ફરિયાદ લઈને પોલીસે અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ બંને કેસ અહીંની સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર અદાલતે બંને પક્ષે આરોપીઓનો નિર્દોષ છુટકારો કરતો હુકમ કર્યો છે.