કોર્ટ મુદતેથી દારૂ પીને આવેલા આરોપીનો જેલમાંથી કબજો લેવાશે : પોલીસમેન સામે તપાસ
રાજકોટ જિલ્લા જેલમાંથી કોર્ટ મુદત્તે ગયેલા હત્યાનો આરોપી જેલના ગેઈટેથી જ સ્ટાફની સર્તકતાથી નશો કરેલી હાલતમાં ઝડપાયા બાદ પ્ર.નગર પોલીસ મથકમાં કાચા કામના કેદી અને તેને લઈ જનાર પોલીસ જાપ્તાના પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો હોય આ મામલે પ્ર.નગર પોલીસે વધુ તપાસ કરવા જેલમાં રહેલા કાચા કામના કેદીનો કબજો લેવા તજવીજ હાથ ધરી છે. જેલ સ્ટાફની સતર્કતાથી નશો કરેલી હાલતમાં ઝડપાયેલા કાચા કામના કેદીએ કઈ જગ્યાએ દારૂની મહેફીલ કરી તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મામલે પોલીસ હેડકવાર્ટરના જાપ્તાના કોન્સ્ટેબલની પણ પુછપરછ કરવામાં આવશે. રાજકોટ મધ્યસ્થ જેલનાં અધિક્ષક એન.એસ.લોહારની સુચનાથી જેલમાં કોઈપણ અનઅધિકૃત વસ્તુઓ કે ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે કડક ચેકીંગ કરવા સુચના આપવામાં આવી હોય જેને પગલે રાજકોટ જેલનો તમામ સ્ટાફ કડક ચેકીંગ કરી રહ્યો છે ત્યારે રાજકોટનાં થોરાળા વિસ્તારમાં સરસ્વતી શીશુ મંદિર પાસે રહેતા અવેશ અયુબ ઓડીયા (ઉ.27)ને ગત તા.26 ને શુક્રવારના રોજ રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં રહેતા કોન્સ્ટેબલ પરેશ મનસુખલાલ વાઘેલાના જાપ્તામાં રાજકોટનાં છઠ્ઠા એડીશ્નલ સેસન્સ જજની કોર્ટ મુદ્દતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી સાંજે 4.45 કલાકે પરત આવતાં જેલના ગેઈટે જેલ સ્ટાફ દ્વારા ચેકીંગ કરવામાં આવતાં અવેશ ઓડીયા નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો જે બાબતે જેલના અધિકારીઓને જાણ કરવામાં આવતાં આ મામલે ઈન્ચાર્જ જેલર વી.કે.પારઘીએ કાચા કામના કેદી અવેશ ઓડીયા અને જાપ્તામાં ગયેલા પોલીસ વિભાગનાં કોન્સ્ટેબલ પરેશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે હવે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જેલમાં રહેલા હત્યા કેસના આરોપી અવેશ ઓડીયાનો કબજો લેવામાં આવશે તેમજ તેણે દારૂ કયાં પીધો ? અને કોણ દારૂ આપી ગયું હતું ? તે મામલે તેમજ આ પ્રકરણમાં પોલીસ વિભાગનાં કોન્સ્ટેબલ હેડ કવાર્ટરનાં પરેશ વાઘેલાની પણ પુછપર કરવામાં આવશે. રાજકોટ મધ્યસ્થ જેલમાં અધિકારીઓની સુચનાથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં મળી આવે તો કેદીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જેલ સ્ટાફની સર્તકતાથી અવેશ ઓડીયાને જેલના ગેઈટ ઉપરથી જ નશો કરેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યો હતો.