ભાવનગરમાં એલસીબી પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પી લેતા આરોપીનું મોત
ભાવનગરમાં વિવિધ 11 ગુનાના કેસના આરોપી યુવકે પોલીસ મથકમાં જ ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું, મૃતકના પરિવારે ભાવનગર પોલીસના ત્રાસથી ખુશાલે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
મૃતક આરોપી ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઈ માળી શહેરના સુભાષનગર, ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતો હતો, તેની સામે ભાવનગર શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 9 અને અન્ય જિલ્લાના મળી કુલ 11 થી વધુ ગુનાના નોંધાયેલા છે.
મૃતકના માતાએ ગંભીર આક્ષેપ અને દાવા સાથે જણાવ્યું કે, તેના પુત્રને ગુનાના કામે ભાવનગર એલસીબી કચેરીએ બોલાવાયો હતો જયાં પોલીસ દ્વારા નાણાંની માંગ કરાતા તેમના પુત્રએ દવા પી લીધી હતી અને બે દિવસની ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે. જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
જ્યારે ભાવનગર પોલીસે તેના પર થયેલા આક્ષેપો ફગાવી દીધા હતા અને તેના પર પ્રોહિબિશનના સાત-સાત ગુના હોય, ગુનાના કામે બોલાવતાં તેણે દવા પી લીધી હતી. જો કે ખુદ પોલીસ જ તેને સારવારમાં માટે લઈ ગઈ હતી. મૃતકે સારવાર દરમિયાન ગુનાની કબૂલાત કરતું નિવેદન પણ આપ્યું હતું. હાલ તો બુટલેગર અને પોલીસની આ લડાઈને લઈ આ બાબતે ચર્ચા જાગી છે.