એકાઉન્ટન્ટે કામના ભારણથી પોતાની ઓફિસમાં જ ફાંસો ખાઇ કર્યો આપઘાત
શહેરમાં આવેલી માધાપર ચોકડી નજીક રહેતા અને કેનાલ રોડ ઉપર શ્રીનાથજી કોમ્પલેક્ષમાં એકાઉન્ટન્ટની ઓફિસ ધરાવતા એકાઉન્ટન્ટે કામનાભારણથી કંટાળી પોતાની ઓફિસમાં જ ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી નજીક રહેતા હિરેનભાઈ પ્રવીણચંદ્ર રાજપરા નામના 49 વર્ષના આધેડ કેનાલ રોડ ઉપર આવેલ શ્રી નાથજી કોમ્પલેક્ષમાં બીજા માળે પોતાની એકાઉન્ટન્ટની ઓફિસમાં હતા ત્યારે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક હિરેનભાઈ રાજપરાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે હિરેનભાઈ રાજપરા શ્રીનાથજી કોમ્પલેક્ષના બીજા માળે એકાઉન્ટન્ટની ઓફિસ ધરાવતા હતા અને કામના ભારણના કારણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.