એરપોર્ટમાં ફરજ બજાવતા CRPF જવાનો માટે હિરાસર નજીક આવાસોનું થશે નિર્માણ
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરથી આશરે 35 કિલોમીટર દૂર હોવાથી ત્યાં ફરજ બજાવતાCRPFના જવાનો તેમજ એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી હતી. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પાસે હિરાસર એરપોર્ટ નજીક જ જમીનની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રએ આ માંગણીને સકારાત્મક પ્રતિસાદ આપતા હિરાસર એરપોર્ટ નજીક જ સાત એકર જેટલી જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ જમીન પરCRPFના જવાનો અને એરપોર્ટના કર્મચારીઓ માટે આવાસોનું નિર્માણ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હિરાસર એરપોર્ટ નજીક જમીનની માંગણી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ આ જમીન ફાળવી દેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિરાસર એરપોર્ટ નજીક આવેલી સાત એકર જમીન એરપોર્ટ ઓથોરિટીને સરકારની જંત્રી મુજબ કિંમત ચૂકવ્યા બાદ આપવામાં આવશે. હાલમાં મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા જમીન ફાળવણી અંગેની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે અને આશા છે કે વહેલી તકે આ જમીન એરપોર્ટ ઓથોરિટીને સોંપી દેવામાં આવશે જિલ્લા વહીવટી તંત્રના નિર્ણયથી સીઆરપીએફ જવાનોમા રાહતની લાગણી ફેલાઇ છે .