કાલાવડ નજીક એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 15 મુસાફરો ઘવાયા
એસ.ટી.બસ કાલાવડથી જૂનાગઢ તરફ જતી હતી : ઘવાયેલા મુસાફરો સારવારમાં
કાલાવડ-ધોરાજી હાઈ-વે પર આવેલા રીનારી ગામના પાટીયા પાસે એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બસમાં બેઠેલા 15 મુસાફરો ઘવાયા હતાં અને તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતાં. બનાવની મળતી વિગતો મુજબ, આજે સવારના સમયે કાલાવડ-જૂનાગઢ રૂટની બસ કાલાવડથી જૂનાગઢ તરફ જઈ રહી હતી ત્યારે રિનારી ગામ નજીક પહોંચતાં સામેથી આવી રહેલા ગોપાલ નમકીનના ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતાં. અકસ્માતને પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફીક જામ થતાં પોલીસે પહોંચી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. તેમજ મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે કાલાવડથી શરૂ થતાં હાઈ-વેનો રસ્તો ખુબ જ ખરાબ હોય તેમ છતાં બસનો ચાલક બેદરકારી પૂર્વક બસ ચલાવતાં આ અકસ્માત સર્જાયો હતો. જો કે હકીકત જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.