ગોંડલના ભુણાવા પાસે મિનિ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: ધોરાજીની મહિલાનું મોત
અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભુણાવા પાસે આવેલ શક્તિમાન ફેકટરી પાસે બપોરે રાજકોટથી ઉપલેટા જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની મીની બસ અને ઇન્ડિયન ગેસના બાટલા ભરેલ ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ખાનગી બસના ડ્રાઇવર- કંડકટર સહિત મુસાફરો ઘાયલ થયા હતા.જ્યારે ધોરાજી રહેતા મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘાયલ મુસાફરોને ગોંડલ તથા રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને ખાનગી બસના ઈમરજન્સી દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર છેલ્લા છ - આઠ માસથી સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે.અને ડાયવર્ઝન નાં પરિણામે ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે દરમિયાન રાજકોટ થી મુસાફરોને ભરી ઉપલેટા તરફ જઈ રહેલ ૠઉં11ઝઝ 9997 નંબરની ખાનગી ટ્રાવેલ્સની મીનીબસ તથા ગોંડલ તરફથી રાજકોટ તરફ ઈન્ડિયન ગેસના બાટલા ભરીને જતા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં ધોરાજી બસસ્ટેન્ડ પાછળ રહેતા રશ્મીતાબેન મુકેશભાઈ વઘાશીયા ઉ.47 નું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બસના ડ્રાઇવર રસીદભાઈ અમનભાઈ ખલીફા (ઉંમર વર્ષ 47) રહે ધોરાજી, કંડકટર ભરતભાઈ નટુભાઈ રાવલ (ઉંમર વર્ષ 50) રહે ઉપલેટા તેમજ બસમાં મુસાફરી કરી રહેલા પ્રભાબેન હરિભાઈ માકડીયા ઉંમર વર્ષ 55 રહે રાજકોટવાળા ઘાયલ થતા સારવાર માટે ગોંડલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ તેમજ સાથી સદસ્યો ઘાયલોની સેવાના કામે લાગ્યા હતા.
આ ઉપરાંત વધુ 4 થી 5 મુસાફરો ઘાયલ થયેલા હોય તેમને ઘટના સ્થળેથી જ રાજકોટ ખસેડાયા હતા. મૃતક રશ્મીતાબેન કિડની પેશન્ટ હોય રાજકોટ હોસ્પિટલ માં ડાયાલીસીસ ની સારવાર લઇ ધોરાજી પરત ફરી રહ્યા હતા.ત્યાં રસ્તામાં જ તેમને કાળ આંબી ગયો હતો.રશ્મીતાબેન ને સંતાન માં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું જાણવાં મળ્યુ હતું.બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હોય તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ટ્રાફિક જામ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.