આજીમાં ઘોડાપૂરથી રામનાથ મહાદેવને અભિષેક: ભાવિકોએ કર્યા દૂરથી દર્શન
મંદિર પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આવી જતાં ભાવિકો મંદિર સુધી ન પહોંચી શકયા
શહેરમાં અવિરત વરસાદથી આજુબાજુના નદી, નાળા, ડેમ છલકાઇ ગયા છે. વ્યાપક વરસાદને લીધે શહેરમાં ઘણી જગ્યાએ નુકશાની થઇ છે. અતિવૃષ્ટિ જેવી હાલતમાં શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં હજુ ભરાયેલા રહેલા પાણીથી લત્તાવાસીઓ પાણીમાં રહેવા, જીવવા મજબુર બન્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
બીજીબાજુ શહેરના સુવિખ્યાત રામનાથ મહાદેવનું મંદિર આજે આજી નદીના ઘોડાપુરમાં ગરક થયેલું જોવા મળ્યું હતું. શ્રાવણ મહીનાને લીધે નિયમિત અહીન દર્શનાર્થે આવતા ભાવિકો રામનાથ મહાદેવ સુધી પહોંચી ન શકતા દુરથી જ જય રામનાથ (દર્શન) કરી ધન્યતા અનુભવી હતી. પાણીમાં ગરક મહાદેવ મંદિરને જોઇને આસ્થાળુ ભાવિકોએ શ્રી રામનાથ મહાદેવને જળાભિષેક કર્યો હોવાનું માની અનુભવી દર્શનનો લાભ લીધો હતો.
આજી નદીનું ઘોડાપુર બીજો કોઇ અનિચ્છનીય બનાવ ન સર્જે તે માટે પોલીસે પણ મંદિર અને નદી પુલ નજીક સુધી બંદોબસ્ત ગોઠવીને લોકોને સલામત રાખવા જહેમત ઉઠાવી હતી. પ્રસ્તુત તસ્વીરોમાં આજી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે અડીખમ ઉભેલુ શ્રી રામનાથ મહાદેવનું મંદિર દુરથી દર્શન કરતા મહાદેવનાં ભાવિકો અને બંદોબસ્તમાં ઉભેલો પોલીસ સ્ટાફ દેખાય છે.