જામનગર રોડ પર ક્વાર્ટરમાં ઝેરી કમળાથી યુવકનું મોત
- આધાર સ્તંભ સમાન પુત્રના મૃત્યુથી પરિવારમાં અરેરાટી
શહેરના જામનગર રોડ સ્લમ ક્વાર્ટરમાં રહેતા યુવકને કમળો થયા બાદ ઝેરી કમળો થતાં તેમનું પોતાના ઘરે જ બેભાન થઈ જતાં મૃત્યુ નિપજ્યું હતું. યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
વધુ વિગતો મુજબ સ્લમક્વાર્ટરમાં રહેતા કેતનભાઈ કાનજીભાઈ પરમાર નામના 27 વર્ષના યુવકને કમળો થયા બાદ તેમની ત્રણ મહિનાથી સારવાર ચાલુ હતી ત્યાર બાદ તેમને અચાનક રિપોર્ટ કરાવતા ઝેરી કમળો હોવાનું ખુલ્યું હતું. અને તેમની સારવાર ચાલુ હતીં ત્યારે ગઈકાલે પોતાના ઘરે જ બેભાન થઈ જતાં તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. કેતન એક બહેનનો એકનો એક ભાઈ અને ઘરનો આધારસ્તંભ હતો. પોતે મહાનગરપાલિકામાં સફાઈકામદાર તરીકે નોકરી કરતો હતો તેમના પિતા અગાઉ મહાનગરપાલિકામાં સફાઈકામદાર તરીકે નોકરી કરતા હોય જેથી બાદમાં વારસદાર તરીકે કેતનને નોકરી મળી હતી. તેમના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાગળો કર્યા હતાં.