વ્યાજખોરે બે સ્કૂટર અને બુલેટ ખરીદ કરાવી પડાવી લેતા યુવાનનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
- જામનગર રોડ પરની ઘટના: 15 ટકાના વ્યાજે લીધેલા 50 હજારના દરરોજ 10 હજાર ચૂકવવા છતાં ત્રાસ ગુજારતા શખ્સ વિરૂદ્ધ પો.કમિશ્નરને પણ કરી’તી ફરિયાદ
શહેરમાં રહેતા વિકલાંગ રીક્ષા ચાલકે માતાની સારવાર માટે વ્યાજખોર પાસેથી રૂ.50 હજાર 15 ટકાના વ્યાજે લીધા હતા અને તેની બદલીમાં દરરોજ રૂૂ.10,000 ચૂકવતો હતો તેમ છતાં વ્યાજખોર શખ્સે યુવકના નામે ફાઇનાન્સ લોન કરાવી બે સ્કૂટર અને એક બુલેટ છોડાવી લીધા હોવાની પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ યુવાને વ્યાસખોરના ત્રાસથી કંટાળી એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલી એકતા સોસાયટીમાં રહેતા રિક્ષાચાલક ભરત રઘુભાઈ કાકડીયા નામનો 28 વર્ષનો યુવાન જામનગર રોડ ઉપર ગ્રીનલીફ્ટ રિસોર્ટ પાસે હતો. ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. ભરત કાકડીયાને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં ભરત કાકડીયાએ જણાવ્યું હતું કે તેની માતાની સારવાર માટે વ્યાજખોર ફિરોજભાઈ જાન પાસેથી રૂૂ.50 હજાર 15 ટકાના વ્યાજે લીધા હતા અને દરરોજ રૂ.10,000 ચૂકવતો હતો તેમ છતાં વ્યાજખોરે ભરતભાઈ કુકડીયાના નામે ફાઇનાન્સમાં લોન કરાવી બે સ્કૂટર અને એક બુલેટ ખરીદ કરી લીધા હતા અને અવાર નવાર માર મારી ત્રાસ આપતો હતો જે અંગે ગાંધીગ્રામ અને ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નહીં લેતા વ્યાજખોર સામે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી તેમ છતાં વ્યાજખોર ત્રાસ આપતો હોવાથી ભરતભાઈ કુકડીયાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપને પગલે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.