પત્નીને મેસેજ કરનાર યુવકને પતિએ મોતને ઘાટ ઉતાર્યો : હત્યારો ઝડપાયો
4 વર્ષ પૂર્વે એક જ સોસાયટીમાં રહેતા યુવકને પાડોશી મહિલા સાથે પરિચય થયો હતો !
ઓફિસમાં સૂતેલા બાવાજી યુવાનને છાતીમાં છરીનો એક ઘા ઝીંકી દેતાં મોત
કોઠારિયા રેલ્વે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા અને નજીકમાં આવેલ ગણશ પાર્ક સોસાયટીમાં ઓફિસમાં બેસી સોસાયટીમાં પાણી વિતરણનું કામ સંભાળતા 45 વર્ષીય બાવાજી યુવાનને તે વિસ્તારની પરણીતાને ફોનમાં મેસેજ કરવાનું ભારે પડ્યું હતું. પરણીતાને મેસેજ કરનાર બાવાજી યુવાનને અગાઉ ઝઘડો થયાબાદ સમાધાન થયું હતું. છતાં પણ રોષે ભરાયેલા પરિણીતાના પતિએ ગઈકાલે સાંજે બાવાજી યુવાનને છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરનાર શખ્સ રાજકોટ મુકીને ભાગે તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો હતો.
સમગ્ર બનાવમાં આજીડેમ પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં કોઠારિયા રેલવે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા મુળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામના ઈલાબેન ભક્તિરામ નિમાવત ઉ.વ.29ની ફરિયાદને આધારે પોલીસે ગણેશ પાર્ક શેરી નં. 2 માં રહેતા રામજી મંગાભાઈ મકવાણા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઈલાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પતિ ગણેશ પાર્ક સોસાયટીમાં પાણી વિતરણ તેમજ છુટક કામ કરતા હોય ગઈકાલે સાંજે તેમના પતિના શેઠ કિશોરભાઈ હિરાણીની ઓફિસે સેટી ઉપર સુતા હતાં ત્યારે રામજી મકવાણાએ આવી છાતીમાં એક છરીનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત ભક્તિરામભાઈ મગનલાલ નિમાવત ઉ.વ.45 ને સારવાર માટે પ્રથમ ખાનગી ત્યાર બાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
ભક્તિરામભાઈ ઉપર હુમલો કરવાની બાબત અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, હાલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા ભક્તિરામ અને તેની પત્ની ઈલાબેન ચાર વર્ષ પૂર્વે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા હતાં. ગણેશ પાર્કમાં પાણી વિતરણનું કામ કરતા ભક્તિરામને તે વિસ્તારમાં રહેતા રામજીભાઈ મંગાભાઈ મકવાણાની પત્ની રીટા સાથે પરિચય થયો હતો. અને બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી.
ત્યાર બાદ ભક્તિરામભાઈ અને તેમના પત્ની હાલ હરિદ્વાર સોસાયટીમાં રહેવા આવી ગયા હોય ભક્તિરામ છેલ્લા ઘણા વખતથી રીટાને મોબાઈલમાં મેસેજ કરતો હોય તેની જાણ તેના પતિ રામજીને થઈ ગઈ હતી. જેથી રામજી અને ભક્તિરામ વચ્ચે ઝઘડો થયો હતો. અને બાદમાં સમાધાન થયું હતું. ગઈકાલે સાંજે ભક્તિરામ ગણેશપાર્કમાં આવેલ કિશોરભાઈની ઓફિસે હતો અને સેટી પર સુતો હતો ત્યારે રામજી મકવાણાએ આવી છરીનો એક ઘા છાતીમાં ઝીંકી દીધો હતો. રામજીને પકડવા માટે કિશોરભાઈ પાછળ દોડ્યા પરંતુ તે પૂર્વે તે ભાગી ગયો હતો. આ બનાવ અંગે ઈલાબેનને જાણ થતાં તેઓ પોતાને ત્યાં લોજીંગમાં જમવા આવતા હસમુખભાઈ કવાના મોટરસાયકલ ઉપર હોસ્પિટલે પહોંચ્યા ત્યારે પતિનું મોત થયાનું તબીબે જણાવતા તેઓ શોકમગ્ન બની ગયા હતાં.
બનાવ અંગે આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે હત્યારા રામજી મંગા મકવાણાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતાં. ભક્તિરામની હત્યા કરીને રાજકોટ મુકીને ભાગે તે પૂર્વે જ રામજી મંગા મકવાણાને ક્રાઈમ બ્રાંચે ઝડપીલીધો હતો. અને આજીડેમ પોલીસ હવાલે કર્યો હતો. મૃતક ભક્તિરામ ચાર ભાઈ અને ચાર બહેનમાં બીજા નંબરના હતાં. તેના સૌથી નાના ભાઈ ફિલિપ્સભાઈ વતન માંડાવડ ગામે રહે છે.
એક મહિના પૂર્વે ઝઘડો થયા બાદ બન્ને વચ્ચે સમાધાન થયું હતું
ગણેશ પાર્કમાં શેરી નં. 2માં રહેતી રીટાબેન રામજીભાઈ મકવાણાને ચાર વર્ષ પૂર્વે ભક્તિરામ મગનલાલ નિમાવત સાથે પરિચય થયા બાદ બન્ને વચ્ચે ફોન ઉપર વાતચીત ચાલતી હતી. આ અંગેની જાણ રીટાના પતિ રામજી મંગા મકવાણાને થતાં એકાદ મહિના પહેલા રામજી અને તેની પત્ની રીટા સાથે ભક્તિરામને બોલાચાલી થઈ હતી. અને ભક્તિરામે રીટાબેનને મેસેજ નહી કરવા અને કોઈ સબંધ નહીં રાખવાનું નક્કી કરી આ બાબતનું સમાધાન થયું હતું. છતાં પણ રીટાનો પતિ રામજી ભક્તિરામ ઉપર રોષે ભરાયેલ હોય અને તેને જાણ હતી કે, ભક્તિરામ સાંજે પાણી વિતરણની ઓફિસે બેસતો હોય જેથી ગઈકાલે સાંજે ત્યાં જઈ ભક્તિરામને છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.