For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસમાં ત્રણ ત્રણ વાર ફરિયાદ છતાં ન્યાય નહીં મળતાં યુવકનો આપઘાતનો પ્રયાસ

04:31 PM Jul 26, 2024 IST | Bhumika
વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસમાં ત્રણ ત્રણ વાર ફરિયાદ છતાં ન્યાય નહીં મળતાં યુવકનો આપઘાતનો પ્રયાસ
Advertisement

શહેરમાં વ્યાજકંવાદની પ્રવૃતિને નાથવા પોલીસ દ્વારા યોજાઈ રહેલા લોક દરબાર વચ્ચે વ્યાજના વરૂઓ બેફામ બન્યા હોય તેમ વ્યાજખોરોના ત્રાસ કંટાળી અનેક લોકો આત્મઘાતી પગલાં અને આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટનામાં વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસમાં ત્રણ ત્રણવાર ફરિયાદ કરવા છતાં ન્યાય નહીં મળ્યાના આક્ષેપ સાથે ચંદ્રેશનગરના યુવાને એ ડીવીઝન પોલીસ મથક પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ કાલાવડના ખરેડી ગામના વતની અને હાલ રાજકોટમાં ચંદ્રેશનગરમાં રહેતા પ્રમોદ નારાયણભાઈ ખાખરીયા નામના 38 વર્ષનો યુવાન રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે હતો ત્યારે ફીનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરતાં એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં પ્રમોદ ખાખરીયાએ જામનગર રહેતા મિત્ર અયુબભાઈને રૂા.બે લાખ વ્યાજે લઈ અપાવ્યા હતાં. જે રૂપિયા મિત્રએ પરત કર્યા ન હતાં. આ ઉપરાંત પ્રમોદભાઈ ખાખરીયાએ રાજકોટમાં હિરેન પુજારા નામના સોની વેપારી પાસે દાગીના ગીરવે મુકી રૂા.4.95 લાખ લીધા હતાં. જે રૂપિયા પરત આપવા માંગતા હોવા છતાં સોની વેપારી વધુ રૂપિયાની માંગણી કરી ઘરેણા આપતાં નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત ખરેડીના અમરદીપસિંહ જાડેજા અને અજયરાજસિંહ જાડેજા પાસેથી રૂા.6.40 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતાં જે બાબતે જામનગર પોલીસ સમક્ષ છ માસ પહેલા સમાધાન થયું હતું. તેમ છતાં અમરદીપસિંહ જાડેજા અને તેના ભાઈ અજય રાજસિંહ જાડેજા રૂપિયા માંગી ત્રાસ આપે છે. આ ઉપરાંત હંસરાજ માવજીભાઈ પોઠીયા પાસેથી રૂા. બે લાખ 10 ટકાના વ્યાજે લીધા હતાં. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પ્રમોદભાઈ ખાખરીયાએ પોલીસમાં ત્રણ ત્રણ વખત અરજી કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં વ્યાજખોરોના ત્રાસથી ફિનાઈલ પી લીધું હોવાનું પ્રમોદભાઈ ખાખરીયાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement