ધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાલીયા માણસર ગામ પાસે એક બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાથી તેના ચાલક ખેડૂત યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે કરણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના જાલીયા માણસર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ રણછોડભાઈ લીંબડીયા નામના 41 વર્ષના ખેડૂત યુવાન, કે જે ગઈકાલે પોતાનું બાઈક લઈને ધ્રોલ ખાતે કપાસની દવાની ખરીદી કરવા માટે ગયા હતા, અને દવા ની ખરીદી કરીને તેઓ પોતાના ગામ જાલીયા માનસર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગામની ગોળાઈમાં એકાએક કૂતરું આડું ઉતરતાં મોટરસાયકલ ને બ્રેક મારવાથી સ્લીપ થઈ ગયું હતું, અને ખેડૂત યુવાન રોડ નીચે પટકાઈ પડતાં તેને ગંભીર ઈજા થઈ હતી. જેને બેશુદ્ધ અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તબીબે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ની પત્ની આશાબેન દિનેશભાઈ લીંબડીયા એ પોલીસને જાણ કરતાં ધ્રોલ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વધોરા ઘટનાના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
