કાર પલટી જતાં યુવકનું મોત, ત્રણને ઈજા
- ભગુડા મોગલધામમાં દર્શન કરી પરત ફરતા રાજકોટના મિત્રોને આટકોટ પાસે નડેલો અકસ્માત
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાર પલ્ટી મારતાં રાજકોટનાં ચાર મિત્રોને અકસ્માત નડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. ચારેય મિત્રો પોતાની કાર લઈ ભુગડા મોગલધામ મોગલ માતાજીના દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી વહેલી સવારે પરત ફરતાં આ અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે આટકોટ પોલીસના સ્ટાફે કાગળો કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ ચોકડી નજીક માલધારી ફાટક પાસે આવેલી સુપરનેશ્નલ કંપનીમાં નોકરી કરતા અને ત્યાંજ રહેતા મૂળ બગસરાના દામનગરના વતની કૌશીકભાઇ રમેશભાઇ વીકાણી (ઉ.વ.30), કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.47)(રહે.મવડી ચોકડી પાસે જલારામ સોસાયટી શેરી નં.1), ગોંડલ રોડ પર ખોડીયાર હોટલ પાસે રહેતા રવિ બટુકભાઇ સુમકીયા (ઉ.વ.30) અને બ્રિજેશભાઇ વઘાસીયા (ઉ.વ.30) તમામ ગઇકાલે ભાવનગર જિલ્લામાં આવેલા ભગુડા ગામે મોગલધામમાં માતાજીના દર્શન કરવા ગયા હતા.
ત્યાંથી આજે વહેલી સવારે કારમાં પરત ફરત હતા ત્યારે રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાર પલટી ખાતા તમામને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે કૌશીકભાઇ વીકાણીને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બનાવની જાણ આટકોટ પોલીસને કરતા પોલીસ સ્ટાફે રાજકોટ પહોંચી બનાવની જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.
મૃતક કૌશીકભાઇ બે ભાઇમાં નાના હતા. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તમામ મિત્રો માલધારી ફટક પાસે આવેલી સુપરનેશ્નલ કંપનીમાં નોકરી કરી ત્યાંજ રહેતા હતા. પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે, આ ઘટનના પગલે ટ્રાફિક જામ થતા સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ઘવાયેલા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા.