નવા બંધાઈ રહેલા બિલ્ડિંગના બારમા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોત
વાલ્કેશ્ર્વરી વિસ્તારના બનાવ અંગે ફરિયાદ નોંધાઇ
જામનગરમાં વાલકેશ્વરી રોડ પર બંધાઈ રહેલા નવા બિલ્ડીંગ ના બારમાં માળે કામ કરી રહેલો એક શ્રમિક યુવાન અકસ્માતે નીચે પટકાઈ પડ્યો હતો, અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલકેશ્વરી રોડ પર કોચ હાઉસ પાસે માધવ સ્કાય લાઈન નામનું નવુ બિલ્ડીંગ બંધાઈ રહ્યું છે, જે બિલ્ડીંગના બારમાં માળે કામ કરી રહેલો પ્રવીણ અમરાભાઇ નનોતા નામનો 28 વર્ષનો યુવાન ચાલુ કામકાજ દરમિયાન અકસ્માતે બારમાં માળેથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો. જેને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે બાંધકામના કોન્ટ્રાક્ટર હિરેનભાઈ સુરેશભાઈ પટેલે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. એમ. વાળા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.