ભાજપમાં અચાનક ઉઠ્યું અસંતોષનું બવંડર
- વડોદરા-સાબરકાંઠાના ઉમેદવારોએ ચૂંટણી લડવામાં પીછેહઠ કરી તો વલસાડ, આણંદ અને અમદાવાદમાં ઉમેદવારો બદલવા માંગણી
- ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલા મોરચા ખૂલી જતા હાઇકમાન્ડ ચિંતામાં, માંગણીઓ સંતોષાય તો અન્ય બેઠકો સૂધી આગ પ્રસરવાનો ખતરો
- ટકોરા મારીને ઉમેદવારોની કરાયેલ પસંદગીમાં કાચુ કપાયું ?
અબકી બાર 400કે પારના નારા સાથે લોકસભાની ચૂંટણીમાં જબરી તાકાત સાથે મેદાનમાં ઉતરેલા સતાધારી પક્ષ ભાજપમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્ર અમિત શાહના હોમસ્ટેટ ગુજરાતમાં જ અસંતોષનું જબરૂ ભવંડર ઉભુ થયુ છે અને આંતરિક અસંતોષની આગમાં દાઝી જવાના ભયે વડોદરાના ભાજપના સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ તથા સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકરે અચાનક જ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતાં ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયેલ છે. ત્યારે આંતરિક અસંતોષની સ્પ્રિંગ હવે ઉછળી રહી હોય તેમજ વલસાડ, આણંદ અને અમદાવાદ પૂર્વની બેઠકોનાં ઉમેદવારો સામે પણ નારાજગીનો ભડકો બહાર આવતા ભાજપની નેતાગીરીની ચિંતા વધી ગઇ છે.
આજે સાંજે સાત વાગ્યે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાનાર છે તે પૂર્વે અચાનક જ ગુજરાતમાં ભાજપનાં ઉમેદવારોમાં ઉભા થયેલા ભવંડરના કારણે ચારથી પાંચ ઉમેદવારો બદલવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.ભાજપના વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ટિકિટ મળી ગયા બાદ અચાનક ચૂંટણી નહીં લડવાની કરેલી જાહેરાત પાછળ પણ ભાજપ હાઇકમાન્ડની જ સૂચના હોવાનું માનવામાં આવી રહ્યુ છે. બંન્ને ઉમેદવારોએ સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા હવે તેમને બદલાવનો માર્ગ હાઇકમાન્ડ માટે આસાન થઇ ગયો છે. હવે ઉમેદવાર બદલાય તો પણ અસંતોષના કારણે નહીં પરંતુ બંન્ને ઉમેદવારોએ અનિચ્છા દર્શાવતા ઉમેદવારો બદલાયા હોવાનું જાણાવી દેવાશે. જો કે, નારાજગી અને ઉમેદવારો બદલવાની માંગણીઓ સામે હાઇકમાન્ડ કડક હાથે કામ લઇ શકે છે. માંગણીઓ મુજબ ઉમેદવારો બદલી દેવામાં આવે તો આ આગ અન્ય બેઠકો ઉપર પણ પ્રસરવાની પૂરી શક્યતા જોવામાં આવી રહે છે.
એક તરફ કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યો માટે ભાજપમાં લાલજાજમ બિછાવવાની નીતિ-રિતી સામે ભાજપના કાર્યકરોમાં અંદરખાને અસંતોષની આગ લબકારા મારી જ રહી છે, બીજી તરફ ભાજપે જાહેર કારેલા ઉમેદવારો સામે પણ નારાજગી બહાર આવતા ભાજપ માટે સ્થિતિ ચિંતાજનક બની છે. પાર્ટી લાઇનના નામે કાર્યકરો આગેવાનોને બોલવાની સ્પષ્ટ મનાઇ છે. પરંતુ ઓફ ધી રેકોર્ડ કાર્યકરો અને નેતાઓ ખૂલીને નારાજગી ઠાલવી રહ્યા છે. ભાજપમાં હાલ અંદરખાને ઘણુબધુ ચાલી રહ્યુ છે. પરંતુ બહાર કાંઇ આવતુ નથી તેવી સ્થિતિ છે.
- આણંદના ડખામાં ગાંધીનગર ટૂંકુ પડતા ઉમેદવારને દિલ્હીનું તેડું
- સ્થાનિક નેતાઓ પ્રચારથી દૂર દૂર ભાગી રહ્યા છે
ભાજપમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. જેમાં એક તરફ વડોદરા બેઠકનો વિવાદ માંડ શાંત થયો છે ત્યાં હવે આણંદ બેઠક વિવાદ સામે આવ્યો છે. જેમાં પણ હાલના સાંસદ મિતેષ પટેલ સામે આંતરિક નેતાઓમાં જ નારાજગી હોવાની વિગતો સામે આવી રહી છે. એટલું જ નહીં વિવાદમાં દિલ્હીથી દખલગીરી કરવી પડી છે.આ બેઠક પર સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓમાં ક્ષત્રિય ઉમેદવારની માંગણી હતી પરંતુ મિતેષ પટેલને ઉતારવામાં આવતાં આંતરિક જૂથવાદને લઈ પ્રચારમાં નેતાઓ જોડાતા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે.
જિલ્લાના નેતાઓમાં ભારે નારાજગીને લઈ ભાજપનો પ્રચાર અભિયાન પણ ફિક્કો જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ આણંદ જિલ્લા સંગઠનના પ્રમુખ અને મહામંત્રીને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ગાંધીનગર મામલો થાળે ના પડતા સાંસદ મિતેષ પટેલને ગત રાત્રે દિલ્હીથી તેડું આવ્યું હતું. જ્યાં ઉમેદવાર બદલવા અંગે ચર્ચા થઈ હોવાની પણ વિગતો સામે આવી છે.