રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીને હૃદયરોગનો હુમલો ભરખી ગયો
- આધેડ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક શાકભાજીના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૂખડિયાપરા વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં રહેતા સીદાભાઈ રવજીભાઈ દેલવાણીયા નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. સીદાભાઈ દેલવાણીયાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સીદાભાઈ દેલવાણીયા છ ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે.
સીદાભાઈ દેલવાણીયા શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા સીદાભાઈ દેલવાણીયા પોતાના ઘરે બેઠા હતા ત્યારે અચાનક આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.