મિત્રની પત્ની સાથેના પ્રેમસંબંધનો કરૂણ અંજામ, 3 દિ’થી લાપતા યુવાનની હત્યા
પ્રેમસંબંધની જાણ થતાં મિત્ર સાથે સમાધાન થયા છતાં બદલો લેવા પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. નવા થોરાળા વિસ્તાર માંથી શનિવારે રાતે ગુમ થયેલા નિતીન પરષોત્તમભાઇ સોલંકીની આજી નદી કાંઠે પથ્થરના ઘા માથામાં ફટકારી હત્યા કરેલી લાશ મળી આવ્યા બાદ તેનો ભેદ થોરાળા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી નીતિનના મિત્ર મનોજ મકવાણાને ઝડપી લીધો હતો જયારે હત્યામાં સંડોવાયેલ અન્ય શખ્સ કરણ રાઠોડ મુંબઈ ભાગી ગયો હોય તેને પકડવા ટીમ મહારાષ્ટ્ર ગઈ છે. શનિવારે ત્રણેય એક સાથે ગુમ થયાની થોરાળા પોલીસમાં તેના પરિવારે જાણ કર્યા બાદ નીતિનની હત્યા કરેલી લાશ મળતા આ હત્યામાં તેના બે મિત્રો જ સંડોવાયેલા હોવાનું સ્પષ્ટ થયું હતું જેના આધારે થોરાળા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો.
હત્યા અંગે પોલીસની પ્રાથમિક તપાસ અને પુછપરછમાં જાણવા મળ્યું કે, હત્યાનો ભોગ બનનારના નીતિને પ્રેમલગ્ન કર્યા હોય તેના છુટાછેડા થઇ ગયા હતાં. નીતિનને શંકા હતી કે તેની પત્નિ સાથે મિત્ર કરણ સાથે આડોસંબંધ છે. જેથી તે અવાર-નવાર કરણ સાથે ઝગડો કરી તેને ગાળો આપતો હોય જેથી કરણે મિત્ર મનોજ સાથે મળી નીતિનને પતાવી દીધો હતો. આ બનાવમાં થોરાળા પોલીસે હત્યાનો ભોગ બનનાર નિતીન ઉર્ફ નિખીલ ઉર્ફ નાથો પરષોત્તમભાઇ સોલંકી (ઉ.વ.21)ના મોટા ભાઇ ગોકુલપરા-1ની પાછળ નવા થોરાળામાં રહેતા ધીરૂૂ ઉર્ફ કિશન પરષોત્તમભાઇ સોલંકી (ઉ.વ.22-રહે.)ની ફરિયાદ પરથી નિતીનના જ મિત્રો મનોજ પ્રવિણભાઇ મકવાણા તથા કરણ હેમતભાઇ રાઠોડ વિરૂૂધ્ધ હત્યાનો ગુનો નોંધી એક મનોજને સકંજામાં લીધો છે જયારે કરણ મુંબઈ ફરાર થી જતા તેની શોધખોળ હાથ ધરી છે.
નીતિન,મનોજ અને કરણ મિત્રો હતા ગઈ તા. 20/7ના શનિવારે મોડી રાત સુધી મારો નિતીન ઘરે ન આવ્યો નહોતો. બીજા દિવસે રવિવારે તેને શોધવા માટે તેના બે મોબાઇલ નંબર પર વારંવાર ફોન કરતાં હતાં. પરંતુ તે ફોન રિસીવ કરતો નહોતો. જેથી નિતીનના મિત્ર કરણ અને મનોજનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું બન્નેનો પણ કોઈ સંપર્ક થયો ન હતો બન્નેના પરિવારે પણ શનિવારથી કરણ અને મનોજ ગુમ હોવાની વાત કરતા ત્રણેયના પરિવારજનો થોરાળા પોલીસમાં નીતિન,મનોજ અને કરણની ગુમ થવા અંગેની જાણ કરી હતી.
દરમિયાન સોમવારે 22મીએ સાંજે આજી નદીના કાંઠે ઘાંસની જાળીમાં નીતિનની લાશ મળી હતી.જેની થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. નિતીનના જમણા હાથ ઉપર કરોડીયાની જાળીનું ટેટૂ અને જમણા હાથના અંગુઠા પાસે અંગ્રેજીમાં એન.એસ. ત્રોફાવેલા હોય આ લાશ નીતિનની હોવાનું તેના ભાઈએ ઓળખી બતાવ્યું હતું.
નિખીલ ઉર્ફ નિતીન ઉર્ફ નાથાના માથાના ભાગે કોઇ બોથડ પદાર્થ કે પથ્થર ફટકારી હત્યા કરી નાખવામાં આવ્યાનું જનાવ મળ્યા બાદ પોલીસે નીતિન સાથે ગુમ થયેલ તેના બે મિત્રો કરણ અને મનોજનો તપાસ કરતા તેની કોઈ માહિતી નહિ મળતા આ હત્યામાં મોનોજ અને કરણની સંડોવણી હોવાની શંકાએ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીએ તપાસ કરી મનોજ પ્રવિણભાઇ મકવાણાને સકંજામાં લઇ પુછપરછ કરતા પ્રથમ તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. બાદમાં હત્યાની કબુલાત આપી હતી. અને આ હત્યામાં તેની સાથે કરણ હેમતભાઇ રાઠોડ પણ સામેલ હોવાનું કબુલ્યું હતું.