રાજકોટથી અમદાવાદ પહોંચેલ પ્રવાસી કોરોના પોઝીટીવ નીકળ્યો
અમદાવાદમાં નવા 10 કેસ નોંધાયા, ચારની ટ્રાવેલ હિસ્ટ્રી રાજકોટ-ગોવા-સિંગાપોર-ઓસ્ટ્રેલિયા
કોરોના ના નવા વેરિયન્ટના કેસો ઝડપભેર વધી રહ્યાં છે. ગઈકાલે શહેરમાં 10 નવા કોરોનાના કેસ નોંધાયા હતાં. જેમાં ચાર કેસમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. ગોવા, સિગાપુર, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરીને પરત આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નવા વેરિયન્ટના બે કેસ નોંધાયા હતાં.
કોરોનાના ન્યુ વેરિયન્ટ બાદ ફરી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં વધુ 10 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બુધવારે અમદાવાદ શહેરમાં વધુ 10 કોરોના કેસ સામે આવ્યા છે.
5 મહિલાઓ અને 5 પુરુષોના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 46 પહોંચી છે. નવરંગપુરા નારણપુરા બોડકદેવ થલતેજ નિકોલ મણીનગર સાબરમતી અને ઇસનપુર વિસ્તારમાં થી 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. 10માંથી પૈકી 4 મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. ગોવા સિંગાપુર રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી આ લોકો પ્રવાસ કરીને પરત ફર્યા છે. 46 દર્દીઓમાંથી પૈકી 45 દર્દીઓને હોમ આઈસોલેશનમાં અને એક દર્દીમાં વધુ લક્ષણો અનુભવાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે. દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે. રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે. કોવિડ સિવાય અન્ય કો-મોર્બિડ બીમારીઓથી દર્દી પીડિત હતા.
ટેસ્ટિંગમાં વધારાના કારણે કોરોનાના કેસમાં વધારો: મંત્રી ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારે ગઇકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના હાલના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા કોરોનાના કેસ, બાબતે જણાવ્યુ હતું કે, સૌથી વધુ કેસ આવવા પાછળનું કારણ પણ એ જ છે કે રાજ્યમાં જીનોમ સિકવન્સીનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે.આ 36 કેસમાંથી 22 રિકવર થઇ ગયા છે અને 14 હોમ આઇસોલેશનમાં છે. 27 ડિસેમ્બરના રોજ 800થી વધારે કેસની તપાસ કરવામાં આવી જેમાંથી 14 લોકો પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી.