સફાઈ કામદારે હકક હિસ્સો નહીં મળતા આપઘાતનો કર્યો પ્રયાસ
શહેરમાં સદર બજાર વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતા સફાઈ કામદારે રાજીનામુ આપી દીધા બાદ બેંક લોનના કારણે હક્ક હિસ્સો નહીં મળતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઠક્કરબાપા હરિજનાવાસમાં રહેતા વિજયભાઈ છગનભાઈ વાઘેલા (ઉ.50) સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં વિજયભાઈ વાઘેલા બે બહેનોના એકના એક ભાઈ છે અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. વિજયભાઈ વાઘેલા આરએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં હતાં અને છ મહિના પહેલા જ રાજીનામું આપ્યું હતું. પરંતુ બેંકમાંથી લીધેલી 11 લાખની લોનના કારણે આરએમસીએ હક્ક હિસ્સો નહીં આપતાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
બેંક લોનથી કંટાળી યુવકે વખ ઘોળ્યું
શહેરમાં વિરાણી ચોક નજીક આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા યુવરાજ રામશીભાઈ જાદવ નામના 21 વર્ષના યુવાને બેંકમાંથી 35 હજારની લોન લીધી હતી. જે લોનથી કંટાળી ગયેલા યુવાને પોતાના ઘરે હતો ત્યારે ચારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવરાજ જાદવ બે ભાઈ એક બહેનમાં નાનો અને પ્રાઈવેટ નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.