મુંબઈથી રાજકોટ વેકેશનમાં આવેલા ધો.12ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત
- બાથરૂમ ગયા બાદ બહાર ન નીકળતાં દરવાજો તોડી યુવકને હોસ્પિટલે ખસેડયો પણ જીવ ન બચ્યો
શહેરમાં હાર્ટએટેકના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યાં છે તરૂણથી લઈ યુવાનોમાં હાર્ટએટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં રોજના બે થી ત્રણ વ્યક્તિના હાર્ટએટેકથી મૃત્યુ થતા હોય છે. ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મુંબઈથી રાજકોટ વેકેશનમાં આવેલા ધો.12ના છાત્રનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાયો છે.
વધુ વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં આવેલા સિલ્વર એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા મિત રાજેશભાઈ હિંડોચા નામનો 18 વર્ષનો લોહાણા યુવાન આજે સવારે પોતાના ઘરે બાથરૂમમાં ગયા બાદ અચાનક ઢળી પડતાં તેમને બેભાન હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મિતના પિતાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. મિત સહિત તેમના ત્રણેય ભાઈનું એક જ દિવસે જન્મ થયો હતો. પોતે મુંબઈ રહી ત્યાં જ ધો.12માં અભ્યાસ કરતો હતો. થોડા દિવસો પૂર્વે ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ તેમને બે મહિનાનું વેકેશન હોય જેથી રાજકોટ રોકાવા આવ્યો હતો. આજે સવારે જાગીને બાથરૂમમાં ગયા બાદ બહાર ન આવતાં તેમના પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જ અવાજ ન આવતાં અંતે દરવાજો તોડીને મિતને બહાર કાઢયો હતો અને તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતાં તબીબોએ મિતનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનો અભિપ્રાય આપ્યો હતો. યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.