ગુજરાતમાં નવી રાજકીય ખીચડી, શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે ગુપ્ત બેઠક
ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પહેલા નવી રાજ્કીય ખીચડીના આંધણ મુકાયા હોય તેમ રાજકારણના અઠંગ ખેલાડી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી અમિતશાહ સાથે ગુપ્ત બેઠક કરતા ભારે ચર્ચા જાગી છે. જો કે, શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની રાજ્કીય કારકીર્દી માટે ચર્ચા કરવા ગયાનું જણાવ્યું હતું.
લાંબા સમય બાદ રાજનીતિના બે દિગ્ગજો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ છે. બન્નેની આ મુલાકાત ગાંધીગરના સર્કિટ હાઉસ ખાતે થઇ હતી. કહેવાઇ રહ્યું છે કે આ મુલાકાત બાદ રાજનીતિમાં કંઇક નવા જુની થઇ શકે છે. જોકે, શંકરસિંહ વાઘેલા બાપુએ તમામ અટકળો અને તર્ક વિતર્ક પર કહ્યું કે, આ શિષ્ટાચારની મુલાકાત હતી.
અમિત શાહ સાથેની મુલાકાત બાદ બાપુએ રાજકીય તર્ક વિતર્કનો છેદ ઉડાડી દીધો હતો, તેમને આ બેઠક અંગે કહ્યું હતુ કે, આ એક શિષ્ટાચાર મુલાકાત હતી, દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. અમે ભેગા મળીને ચા-પાણી કર્યા અને થોડીક વાતો કરી હતી. જોકે, બાપુ અને અમિત શાહની બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા રાજકારણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા (કોંગ્રેસ) છે. શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા અને લોકોમાં લોકનેતા બાપુ તરીકે લોકચાહના મેળવી હતી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું હુલામણું નામ આપ્યું હતું. તેઓ કપડવંજની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.