માધાપર ચોકડી નજીક ટ્રકની ઠોકરે એક્ટિવાચાલક નિવૃત્ત રેલવે કર્મીનું મોત
માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તે પુર ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે એકટીવાને ઉલાળતા રેલવેના નિવૃત કર્મચારીનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રેલનગરના ઋષિકેશ પાર્કમાં રહેતા જયસુખભાઇ જાની ગઇ તા.6ના રોજ સવારના પોતાનું એકટીવા લઇ માધાપર ચોકડીથી બેડીપરા ચોકડી તરફ રસ્તે જતા હતા ત્યારે એક પુરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે ઉલાળતા તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ તેઓને ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા. બાદમાં તા.8ના રોજ તેઓને રજા આપતા જયસુખભાઇને ઘરે લાવવામાં આવ્યા હતા અને તેમની તબીયત વધુ બગડતા જયસુખભાઇને સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે જયસુખભાઇ અગાઉ રેલવેમાં નોકરી કરતા હતા અને હાલ નિવૃત જીવન જીવતા હતા. આ અંગે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.