ન્યારી ડેમમાં નહાવા પડેલા રિક્ષા ચાલક આધેડ ડૂબી જતાં મોત
- આધેડના મોતથી ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ
શહેરની ભાગોળે કાલાવા રોડ ઉપર આવેલા કણકોટ ગામે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડ ન્યારી ડેમમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે પાણીમાં ગરગાવ થઈ ગયા હતા ન્યારી ડેમમાં ન્હાવા પડેલા રીક્ષા ચાલકનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા કણકોટ ગામે રહેતા માધાભાઈ કાળુભાઈ છનુરા નામના 47 વર્ષના આધેડ સાતેક વાગ્યાના અરસામાં ન્યારી ડેમના કાંઠે પાણીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે માધાભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા માધાભાઈ છનુરાનું ડેમના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક માધાભાઈ ત્રણ ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે માધાભાઈ છનુરા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને માધાભાઈ ન્યારી ડેમમાં ન્હાવા જતા તેમનું ડૂબી જવાથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.