રાજકોટમાં ચીકનગુનિયાથી આધેડનું મોત
પાંચ દિવસથી ચીકનગુનિયાની સારવાર ચાલુ હતી: આજે ઊલટી થયા બાદ બેભાન થતાં મોત નિપજ્યું
રાજ્યમાં ઠંડી વધતા રોગચાળાએ કાળો કહેર વર્તાય રહ્યો છે.જેના કારણે યુવાન, વૃદ્ધ અને નાના બાળકો પણ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે.ત્યારે રોજકોટમાં પણ રોગચાળો દિવસે ને દિવસે વધુને વધુ વકરી રહ્યો છે.જેમાં ખાસ કરીને તાવ,ડેન્ગ્યુ અને અન્ય બીમારીના કારણે મોતને ભેટતા લોકોના આંકડા સામે આવી રહ્યા છે.
ત્યારે રાજકોટમાં ચિકન ગુનિયાથી આધેડનું મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.તેમજ આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.વધુ વિગતો મુજબ,કોઠારીયા રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ કરસનભાઈ અમીપરા(ઉ.વ.45)આજે બપોરે 12 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક ઉલટી થતા જ તેઓ બેભાન થઈ ગયા હતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
પરિવારજનોએ બનાવ અંગે જણાવ્યું હતું કે,હિતેશને પાંચ દિવસથી ચિકન ગુનિયા થયો હતો.તેમની દવા ચાલુ હતી.ત્યારે આજે તેમને બપોરના સમયે ઉલટી થતા તેઓ બેહોશ થયા હતા.તેમને સંતાનમાં એક પુત્ર છે.પોતે બે ભાઈમાં નાનો હતો અને હીરા ઘસવાનું કામ કરતા હતા.તેઓના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.