રાજકોટના ઢોલરામાં ખેત મજૂરી કરતા ખેડાના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળનાં ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના ઢોલરા ગામે ખેત મજૂરી કરતા ખેડાના આધેડીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ખેડાના વતની અને હાલ રાજકોટના ઢોલરા ગામે જીવાભાઇ ભરવાડની વાડીએ ખેતી કામ કરતા રમેશભાઈ ચતુરભાઈ સેનવા નામના 50 વર્ષના આધેડ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં વાડીએ કામ કરતા હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશભાઈ સેનવા ખેડાના વતની હતા. અને હાલ ઢોલરા ગામે ખેત મજૂરી માટે આવ્યા હતા. રમેશભાઈ સેનવા બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.