For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેફ્યુજી કોલોનીવાળી જમીન ઉપર બનશે મેડિકલ હોસ્ટેલ

04:26 PM Aug 01, 2024 IST | Bhumika
રેફ્યુજી કોલોનીવાળી જમીન ઉપર બનશે મેડિકલ હોસ્ટેલ
Advertisement

રાજકોટ સૌરાષ્ટ્રનું હબ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ વિદ્યાથીર્ર્ઓ મેડીકલના અભ્યાસ માટે રાજકોટ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યાં છે. મેડીકલ કોલેજમાં વર્તમાન સમયમાં સિટો વધારવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓના પ્રવેશ વધ્યા છે. પ્રવેશ વધતાં હોસ્ટેલની સુવિધાની જરૂરીયાત હોવાથી જામનગર રોડ પર આવેલી રેફયુજી કોલોનીની જમીન પર ટાઉનશીપ જેવી હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટ મેડીકલ કોલેજ દ્વારા હોસ્ટેલની સુવિધા વધારવા માટે જમીનની માંગણી કરવામાં આવી હતી. તે અરજીને માન્ય રાખીને જામનગર રોડ પર આવેલી રેફયુજી કોલોની તાજેતરમાં જ જર્જરીત હોવાના કારણે ખાલી કરાવવામાં આવી હતી. આ ખાલી કરાવાયેલી જમીનમાં મેડીકલ કોલેજને હોસ્ટેલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે. રેફયુજી કોલોનીની 38200 ચો.મી.જમીન ઉપર ટાઉનશીપ જેવી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. હોસ્ટેલ માટે વહીવટી તંત્ર દ્વારા જમીન સોંપી દેવામાં આવી છે.

Advertisement

વધુમાં જણાવ્યું હતું કે, આ મેડીકલ હોસ્ટેલ એક ટાઉનશીપ જેવી બનાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ગાર્ડન, રમતગમત, કલબ હાઉસ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. ટૂંક સમયમાં જ મેડીકલ હોસ્ટેલનો પ્લાન મંજુર કરી દેવામાં આવશે અને તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તેની પર બાંધકામ શરૂ કરવામાં આવશે અને મેડીકલના અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓની રહેવા માટેની સુવિધાઓમાં વધારો થશે.રાજકોટ મેડીકલ કોલેજમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા મેડીકલની સીટોમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારાથી રાજકોટ મેડીકલ કોલેજમાં પણ પ્રવેશમાં ધસારો જોવા મળી રહ્યો છે. જુની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં તેઓને નવી હોસ્ટેલ ફાળવવામાં આવશે જેમાં તમામના પ્રવેશ આપવામાં આવશે. હોસ્ટેલની સુવિધા વધતાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટેનું સારૂએવું વાતાવરણ પણ મળી રહેશે.

લોકમેળાનો પ્લાન સાંજ સુધીમાં મંજૂર કરાશે
રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી નિમિત્તે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્લાન આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે તેવું કલેકટરે જણાવ્યું હતું. પ્લાન મંજુર થયા બાદ તા.3 ઓગસ્ટનાં રોજ સ્ટોલની હરરાજી કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સુરક્ષાને લઈને નિયમો કડક કરવામાં આવ્યા હતાં. ગત વર્ષ કરતાં 50 ટકા જેટલો સ્ટોલમાં ઘટાડો કરાયો હતો પરંતુ ધંધાર્થીઓમાં વિરોધ અને માંગને ધ્યાનમાં રાખીને 20 ટકા ઘટાડો ઓછો કરી 30 ટકા કરાયો છે. ગત વર્ષે 355 સ્ટોલો હતાં જેની સામે આ વર્ષે 215 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. લોકો પાસે મેળાના નામ અંગે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 300 થી વધુ અરજીઓ આવી છે. આગામી અઠવાડિયામાં મેળાના નામની પણ જાહેરાત કરવામાં આવશે તેવું કલેકટર તંત્રએ જણાવ્યું હતું.

ઉપલેટાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોનો સરવે પૂરો, સામુહિક પેકેજની માંગ
તાજેતરમાં ઉપલેટા અને ધોરાજી પંથકમાં વરસાદી મેઘ તાંડવ સર્જયું હતું. 17 થી 18 ઈંચ ખાબકેલા વરસાદે સમગ્ર પંથકને તહેસનહેસ કરી નાખ્યું હતું. પૂરના કારણે ખેતરો ધોવાઈ ગયા હતા અને બેટમાં ફેરવાઈ ગયા હતાં કેટલાક ચેક ડેમો પણ તુટી ગયા હતાં. પારાવાર નુકસાન થતા રાજકોટ કલેકટર દ્વારા નુકસાનીના સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં 17 જેટલા ગામોની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. બાકીના ગામોની સપ્તાહમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે. ત્યારબાદ સહાયની રકમ ચુકવવાની કામગીરી કરવામાં આવશે. પરંતુ ધોરાજી, ઉપલેટાના ગ્રામજનો દ્વારા વિભાગ વાઈઝ નહીં પરંતુ સામુહિક રીતે પેકેજ આપવા માટે માંગ કરવામાં આવી છે. આ અંગે કૃષિમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement