કરોડોના ખર્ચે લોકાર્પિત જનાના હોસ્પિટલમાં અસુવિધાની થોકબંધ ફરિયાદો
- એક્સ-રે રૂમ બનાવાયો પણ મશીન નથી ! બાળકોના એક્સ-રે માટે વાલીઓને પારાવાર મુશ્કેલી
- જનાનામાંથી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં નવજાત બાળકોની હેરાફેરીથી ભયંકર ઇન્ફેક્શનની સેવાતી ભીતિ
- સરકારી ખર્ચને સાર્થક કરવા પ્રારંભે જ લકવાગ્રસ્ત જનાનાને તાત્કાલિક સુવિધાના ઇન્જેક્શન આપવા માંગ
શહેરની સિવિલ-હોસ્પિટલની બાજુમાંજ તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પિત થયેલી જનાના હોસ્પિટલમાં પ્રારંભે જ દુવિધાની શરૂ થયેલી હારમાળાથી દર્દીઓમાં દેકારો બોલી ગયો છે. જો કે દર્દીઓની સમસ્યાઓ તુંરત જ હલ કરવાં પોતે કાર્યરત હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ર્ડા.રાધેશ્યામ ત્રિવેદીએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું.પ્રથમ ગ્રાસે મક્ષિકા કહો કે વખાણી ખિચડી દાઢે વળગી કહો તેવી સ્થિતિમાં હાલની જનાના હોસ્પિટલમાં ઊભી થઇ હોવાની દર્દીઓની ફરિયાદોનો રીતસરનો મારો શરૂ થયો છે. તેની સામે દર્દીઓની ફરિયાદો હલ કરવા સંબંધિત સત્તાધિશો ભારે કાર્યરત હોવાનું જોવા મળી રહ્યુ છે.
રૂા.120 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી અને ગત તા.25નાં રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પિત થયેલી જનાના હોસ્પિટલ સમગ્ર રાજકોટ, શહેર, જિલ્લા અને સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ ગણી શકાય અને બુદ્ધીજીવીઓના મતે આવી આરોગ્ય સેવા, સુવિધાઓને વધાવવી જોઇએ.એ ઉપરાંત લોકાર્પણનાં બીજા જ દિવસે પુરતા તબીબી સ્ટાફ સાથે હોસ્પિટલ કાર્યરત કરી દેવી તે સુપ્રિન્ટેન્ડેન્ટ ર્ડા.ત્રિવેદીના મતે રેકાર્ડ સમાન વાતને પણ સૌએ આવકારવી જોઇએ તેમાં શંકાને સ્થાન નથી. પણ ગામના (દર્દીઓના) મોઢે ગરણું બાંધી ન શકાય તેમ હોસ્પિટલના પ્રારંભે જ અસુવિધાની નોકબંધ ફરિયાદો બાબતે સંબંધિત તંત્રએ તાત્કાલિક નિરાકરણ લાવવુ જ પડે તેવી સ્થિતી નિર્માણ થઇ છે.વિપક્ષ વગર સામેનો પક્ષ સર્તક ન બને અને ફરિયાદો વગર સરકારી સેવાઓ ન સુધરે તેવી કહાવતોને ધ્યાને લઇને જનાના હોસ્પિટલમાં પડતી મુશ્કેલીઓ, હાલાકીઓ અહીં વર્ણવાનું અમો મુનાશીબ માનીએ છીએ કે, તંત્ર જાગે અને ફરિયાદો તાત્કાલિક નિવારે....
એક્સે-રે મશીન વગર રૂમ ખાલીખમ!
જૂદી-જૂદી અદ્યતન સેવા, સુવિધા સાથે શરૂ થયેલ જનાના હોસ્પિટલનો એક્સ-રે રૂમ અત્યારે મશીન વગર ખાલી ખમ્મ ભાસે છે. પરિણામાં જનાનામાં દાખલ થયેલા બાળકોનાં એક્સ-રે પાડવાની જરૂરીયાત ઊભી થાય તો બાળકોની માતાઓ સહિતના વાલીઓને નવજાત શીશુને કાખમાં તેડીને સીવિલ હોસ્પિટલનાં એક્સ-રે રૂમ સુધી લાંબુ થવુ પડે છે. ત્યારે અહીં એક્સ-રે મશીન મુકીને દર્દીઓની બાળકોના વાલીઓની હાલાકી ક્યારે હલ કરાશે ? તેવો પ્રશ્ર્ન ઊઠયો છે.
તાત્કાલિક-પોર્ટેબલ એક્સ-રે મશીન મુકાવીશું : ડો.રાધેશ્યામ ત્રિવેદી
જનાનાં હોસ્પિટલનો એક્સ-રે રૂમ મશીન વગર ખાલી પડોય છે અને બાળકોના વાલીઓને હાલાકી ભોગવવી પડતી હોવાની વાતનો સ્વિકાર થયો છે. આ બાબતે સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતુ કે દર્દીઓની સમસ્યા હલ કરવા તાત્કાલિક પોર્ટેબલ એક્સ-રે મશીન મૂકી દેવાશે. બાકી મુળ મશીનની ગ્રાન્ટ સહિતની કાયદેસરની તમામ કાર્યવાહી મંજુર થઇ ગઇ છે. હવે માત્ર મશીનનાં આગમન અને ઇન્સ્ટોલેશન સહિતની પ્રક્રિયાની રાહ જોવાઇ રહી છે. ટૂંકમાં એક્સ-રે મશીનની ફરિયાદ હલ કરી દેવા ડો.ત્રિવેદીએ ખતરી આપી હતી.
ઉચ્ચ આરોગ્ય તંત્ર રાજકોટ પાછું કયારે આવશે ?
કરોડો રૂપિયાના ખર્ચે જનાના હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ તો થઈ ગયું છે પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ હોસ્પિટલના પ્રારંભે જ બાળ દર્દીઓના વાલીઓને પારાવાર મુશ્કેલીઓ, અમુક સુવિધા હોવાના અભાવે પડી રહી છે ત્યારે રાજ્યના ઉચ્ચ આરોગ્ય તંત્રએ ફરી રાજકોટ આવીને જનાના હોસ્પિટલમાં એકસ-રે મશીન તેમજ પુરતા પાણીની સુવિધા બાબતે તપાસ કરાવીને ઘટતું કરાવું જોઈએ તેવું જાગૃતો કહે છે.
જનાનાથી સિવિલના બિલ્ડિંગ સુધી ઇ-રિક્ષા મૂકવાનો નિર્ણય જરૂરી
જન્મદાત્રીઓ અને તેમનાં સ્વજનોનું કહેવુ છે કે, જનાનામાંથી એક્સ-રે સહિતની કોઇ આરોગ્યલક્ષી સેવા માટે બાળકને સિવિલનાં બિલ્ડિંગમાં લઇ જવુ હોય તો ચાલીને જવું પડે છે. પરીણામે જે તે વખતે બહારના સારા-ખરાબ વાતાવરણમાંથી બાળકોને લઇ જવા પડે છે. ત્યારે જો જનાનાથી સિવિલ સુધીના બિલ્ડિંગમાં પહોંચવા તંત્રએ ઇ-રીક્ષાની સેવા ચાલુ કરવી જોઇએ. આ માટે રોગી કલ્યાણ સમિતિમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ પડી હોવાનું જાગૃત આગેવાનો જાણાવે છે.
નવજાત શિશુની હેરફેરમાં ભયંકર ઇન્ફેકશનની ભીતિ ?
અમારા ગોપનિય વર્તુળોના બાળરોગ નિષ્ણાંત તબીબોનું કહેવુ છે કે, નવજાત શિશુઓને એક જ જગ્યાએ ઉચિત સારવાર મળી રહે તે માટે જે તે દવાખાનામાં વાતાવરણ, તાપમાન ઊભું કરાયેલુ હોય છે. અને આ માટે ફરજ પરના તબીબોને વાતાવરણ મેઇન્ટેઇન કરવાનું હોય છે. ત્યારે એકસ-રે જેવી પ્રકિયામાં જો બાળકને હોસ્પિટલમાંથી અન્યત્ર ખુલ્લા વાતાવરણમાં હેરફેર કરવી એ ભયંકર ઇન્ફેક્શનને આમંત્રણ આપવા જેવી ભીતિ સહવી અઘરી છે.