લોટરી બજારમાં વોંકળા ઉપરની દુકાનમાં ગાબડું, મોટી દુર્ઘટના અટકી
સર્વેશ્ર્વર ચોકની દુર્ઘટનામાં દાઝી ગયેલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો: વોંકળો તો દૂર છે તેવો કર્યો બચાવ
રાજકોટ શહેરમાંથી પસાર થતા અનેક વોકળાઓ ઉપર બાંધકામો ખડકાઈ ગયા છે. થોડા સમય પહેલા સર્વેશ્ર્વર ચોકમાં થયેલ મોટી વોકળા દુર્ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું હતું. અને આ ઘટનાની તપાસ પણ ચાલુ છે. ત્યારે જ મણિયાર હોલની બાજુમાં આવેલ જૂની લોટરી બજાર કે જે વોકળા ઉપર બાંધવામાં આવેલ છે. તેની એક દુકાનના સ્લેબમાં ગાબડુ પડતા આ બાબતની જાણ ફાયર વિભાગને થતા મહાનગરપાલિકાના ડે. કમિશનર, સીટી ઈજનેર તેમજ ફાયર ફાયટર સાથે ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં વોકળો બેસી જતા અમુક લાદીઓ બેસી ગયાનું અને જોખમ ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. શહેલના વોકળા ઉપર બંધાયેલા બાંધકામો વર્ષો પહેલા થયેલા હોય હવે છાસવારે દુર્ઘટનાઓ ઘટી રહી છે. સર્વેશ્ર્વર ચોકમાં 1990માં થયેલ વોકળાની છત ધરાસાયી થતા એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો જેમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને તપાસ હાલમાં ચાલુ છે ત્યારે જ ગઈકાલે રાત્રીના જૂની લોટરી બજારમાં આવેલ એક દુકાનનો સ્લેબ બેસી જતા દુકાનમાં લાદીનો ભાગ તુટી ગયો હતો. જેની જાણ મહાનગરાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા સર્વેશ્ર્વરમાં દાઝી ગયેલ તંત્રએ ઘટનાને ગંભીરતાથી લઈ જવાબદાર અધિકારીઓને ઘટના સ્થળે દોડાવ્યા હતા અને તપાસ હાથ ધરતા વર્ષો પહેલા થયેલ છત નબળી થતા દુકાનની લાદી બેસી ગયાનું જાણવા મળેલ છે.
આથી હવે તમામ દુકાન નીચે આવેલ છતનો ઈન્ફાસ્ટ્રક્ચર રિપોર્ટ કરવાની સુચના આપવામાં આવી છે. મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ 1995માં નવા કેસરીપુલનું નિર્માણ થયું ત્યારે કપાતમાં આવતી દુકાનોને અવેજીમાં લોટરીબજારમાં દુકાનો પાળવવામાં આવી હતી. તે સમયે આ સ્થળેથી વોકળો પસાર થતો હોવાથી વોકળા ઉપર છત ભરીને દુકાનો બનાવવામાં આવી હતી. તેમજ અમુક દુકાનો ટોકનદરથી મહાનગરપાલિકાએ અરજદારોને ભાડેથી આપેલી છે. 30 વર્ષ જેટલો સમય વોકળાની છતને થઈ ગયેલ હોવાથી જર્જરીત થયાનું જાણવા મળેલ છે. પરંતુ વોકળા ઉપર નાની દુકાનો હોવાના કારણે અને વધુ વજન આવતો ન હોય મોટી દુર્ઘટનાની શક્યતા નથી છતાં આજની ઘટના બાદ હવે વોકળાની છતનું સ્ટ્રક્ચર ટેસ્ટીંગ કરવામાં આવશે જેનો રિપોર્ટ આવ્યે આગળનો નિર્ણય લેવાશે. હાલ રિપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ સ્ટ્રક્ચર રિપોર્ટ આવ્યા બાદ દુકાન ચાલુ કરવાની મંજુરી આપવામાં આવશે.