સામાકાંઠે ચાંદીના કારખાનામાં આગ, પંદરેક કામદારો માંડ બચ્યા
એકઝોસ્ટ ફેનમાં લાગેલી આગ આખા બિલ્ડિંગમાં ફેલાતા નાસભાગ, બિલ્ડિંગમાં ફાયર ગઘઈ નહીં હોવાનું ખુલ્યું, ચાર કલાકે આગ કાબૂમાં આવી
રાજકોટના સામાકાંઠે ટીઆરપી ગેમઝોન જેવી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી. પેડક રોડ પર આવેલ જે.કે.ક્રિએશન નામના ચાંદીના કારખાનામાં આગ લાગી હતી. ચાર માળના આ બિલ્ડીંગમાં આગ લાગતા ત્યાં હાજર કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કારખાનામાં કામ કરતાં પંદર જેટલા કામદારોએ જીવ બચાવવા માટે અગાશી ઉપરથી ઠેકડયા માર્યા હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પેડક રોડ પર આવેલા બાલાજી હનુમાન પાસે જે.કે.ક્રિએશન નામના કારખાનામાં આગ લાગી હતી. ચાર માળના બિલ્ડીંગમાં એક માળે એકઝોસ્ટ ફેનમાં આગ લાગતાં પ્લાસ્ટીકના પાઈપ થકી આ આગ અન્ય માળ સુધી પહોંચી હતી.
આ ચાર માળના બિલ્ડીંગમાં પહેલા અને બીજા માળે ચાંદી કામ ચાલતું હતું જ્યારે અન્ય બે માળ રહેણાંક છે આગ લાગવાના કારણે પહેલા અને બીજા માળે ચાંદી કામ કરતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓએ જીવ બચાવવા માટે અગાસી ઉપરથી ઠેકડા માર્યા હતાં. બનાવની જાણ થતાં બેડીપરા તેમજ ભાવનગર રોડ ફાયર સ્ટેશનેથી ફાયર ફાઈટરો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડની તપાસમાં જાણવા મળ્યું કે ચાર માળના આ બિલ્ડીંગની એનઓસી નથી અને આ મામલે હવે ફાયરબ્રિગેડ દ્વારા રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. આ કારખાનાના માલિક જયેશભાઈ બાબુભાઈ કોરાટ હોવાનું જાણવા મળ્યું છે તેમજ મેનેજર સહિતનો સ્ટાફ બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યો હતો.