વાલકેશ્વરી નગરી વિસ્તારમાં મકાનમાં ધુળેટીના વહેલી સવારે આગ લાગી
જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં ધૂળેટીના વહેલી સવારે એક વણિક પરિવારના રહેણાક મકાનમાં ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને તેમાં એક બુઝુર્ગ સપડાયા હતા. ફાયર બ્રિગેડની ટુકડીએ સમય સૂચકતા વાપરીને સૌપ્રથમ બુઝુર્ગ ને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, તેમજ સમયસર આગને પણ કાબુમાં લઈ લેતાં આગ પ્રસરતી હતી. ફાયર બ્રિગેડની સમય સૂચકતાને લઈને એક માનવ જિંદગી બચી છે.
આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારના અમર રેસીડેન્સી ના 203 નંબરના બ્લોકમાં રહેતા નગીનદાસ એસ. શાહના મકાનમાં સવારે 6.00 વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આગ સમગ્ર રૂમમાં પ્રસરી ગઈ હતી, અને બારીમાંથી આગની જ્વાળાઓ બહાર દેખાવા લાગી હતી.
આગના આ બનાવ સમયે વણિક પરિવાર ઘરમાં જ હતો, અને ભારે દોડધામ થઈ હતી. જે રૂમમાં આગ લાગી તેની બાજુના બેડરૂૂમમાં નગીનભાઈ શાહ ફસાયા હતા, દરવાજો ખોલીને બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં ન હતા. આથી તેમના પુત્ર પરાગભાઈ શાહએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાના રાકેશ ગોકાણી સહિતની સાત સભ્યોની ફાયર વીભાગની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ બેડરૂમમાં ફસાયેલા નગીનભાઈ શાહને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી તેઓને હેમખેમ બચાવી શકાયા હતા. ત્યારબાદ આગ પર પાણીના એક ટેન્કર વડે મારો ચલાવી સમયસર આગને કાબુમાં લઈ લેતાં આગ વધુ પ્રસરતી અટકી હતી.આગ વધુ પ્રસરે તે પહેલાં જ ફાયર શાખાની ટુકડી સમયસર પહોંચી ગઈ હોવાથી એક માનવ જિંદગી બચી ગઈ હતી.