મહિલા કાવડ યાત્રીએ તાજમહેલમાં જળાભિષેકનો પ્રયાસ કરતાં દોડધામ
તાજમહેલના સ્થળે ભગવાન શિવનું મંદિર હોવાનો વિવાદ ચાલે છે
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પરંપરાગત રીતે કાવડ યાત્રીઓ જળાભિષેક મંદિરમાં કરે છે. પરંતુ મંગળવારે અચાનક એક મહિલા કાવડ યાત્રી દ્વારા તાજમહેલમાં જળાભિષેક કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ મહિલા યાત્રી કાવડ લઈને તાજમહેલના દરવાજા સુધી પહોંચી ગઈ હતી. જોકે, પોલીસે તાજમહેલમાં યેનકેન પ્રકારે મહિલા યાત્રીને રોકી દીધી હતી.
કાવડિયા યાત્રી મીના રાઠોડનું કહેવું છે કે, હું તેજોમહાલયમાં ગંગાજળ ચઢાવવા આવી હતી. ભગવાન શિવે મને સપનામાં બોલાવી અને હું તેજોમહાલયમાં જળાભિષેક માટે કાવડ લઈને આવી હતી. પરંતુ પોલીસ કર્મીઓએ મને આગળ જવા દીધી નહીં. એડિશનલ પોલીસ કમિશનર(એસીપી, તાજ સુરક્ષા) સૈયદ અરીબ અહમદે જણાવ્યું કે, મીના રાઠોડને પશ્ચિમના ગેટ પાસે રોકી અને તાજમહેલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં. થોડાક સમય પછી રાઠોડે સ્વંય જ રાજેશ્વર મંદિરમાં ગંગાજળ ચઢાવવાનો નિર્ણય કર્યો હતો. આ મામલામાં અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રવક્તા સંજય જાટે મીના રાઠોડના સમર્થનમાં કહ્યું કે, જે સ્થાન પર એ ભગવાન શિવના મંદિર હોવાનો દાવો કરે છે, ત્યાં ગંગાજળ ચઢાવવાનો તેમનો અધિકાર છે. કારણ કે આ તેજોમહાલય, ભગવાન શિવનું મંદિર છે.