મહેશ્ર્વરી સોસાયટીમાં તબીબ યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
એસ્ટ્રોન ચોકમાં દવાખાનું ધરાવતી કડિયા યુવતીએ મોડીરાત્રે અકળ કારણોસર મોત વહાલું કર્યું: સોશિયલ મીડિયા પર પોલીસની તપાસ
આપઘાતની ઘટનામાં રાજકોટ દેશરમાં મોખરા પર પહોંચી ગયું છે. ત્યારે આજે કોઠારિયા રોડ મહેશ્ર્વરી સોસાયટીમાં ડેન્ટીસ્ટ યુવતિએ પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. ભક્તિનગર પોલીસે તબીબી યુવતિના આપગાતનું કારણ જાણવા સોશ્યલ મીડિયા પર તપાસ કેન્દ્રીત કરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ ભવાની ચોક મહેશ્ર્વરી સોસાયટી શેરી નં. 1માં રહેતી આરતીબેન ચંદુભાઈ ચોટલિયા (ઉ.વ.27) કડિયા યુવતિએ મોડીરાત્રે પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવની ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો 108 સાથે ઘટના સ્થળે દોડીગયો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં કડિયાકામ કરતા ચંદુભાઈ ચોટલિયાએ પોતાની પુત્રીને ભણાવી-ગણાવી ડોક્ટર બનાવી હતી ત્રણ વર્ષ પહેલા ડેન્ટીસ્ટ બનેલી આરતીએ એસ્ટ્રોનચોકમાં પોતાનું ક્લિનીક પણ શરૂ કરી દીધું હતું.
એકભાઈ એક બહેનમાં નાની આરતી હજુ અપરણીત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવતિએ જમી પરવાડી રાત્રે પોતાના રૂમમાં સુવા જતી રહી હતી અને સવારે માતા તેને જગાડવા ગયા ત્યારે પુત્રીનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો અવાચક બની ગયા હતાં.
તબીબી યુવતિએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ જાણતા ન હોય અને રૂમમાંથી કોઈ સ્યુસાઈટ નોટ પણ નહીં મળી આવતા ભક્તિનગર પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ શોધવા તબીબી યુવતિના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.