લોકસભાની બેઠક દીઠ ભાજપમાં ડઝન દાવેદાર
- આવતીકાલે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ત્રણ ત્રણ નામોની પેનલ બનાવાશે, ગુરુવારે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં અપાશે આખરી ઓપ
- સેન્સ પ્રક્રિયામાં પાર્ટી નક્કી કરે તે શિરોમાન્ય રાખવાનો સૂર છતાં દરેક બેઠક ઉપર વ્યક્તિગત દાવેદારી
- મોટાભાગનાં સીટિંગ સાંસદોએ પણ ટિકિટ માગી, અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, પાટીલ, નીતિન પટેલ ઉપર સૌની નજર
- અનેક સાંસદોના પત્તાં કપાવાની શકયતા, નવા ચહેરાઓ ઉપર દાવ ખેલી શકે છે ભાજપ
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે શાસક પક્ષ ભાજપ દ્વારા 100 જેટલા લોકસભાના ઉમેદવારો જાહેર કરવાની કવાયતના ભાગરૂપે ગઈકાલે ગુજરાતની 27 બેઠકો ઉપર અચાનક જ સેન્સ સેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ગુજરાતની દરેક બેઠક ઉપર ભાજપમાંથી ઓછામાં ઓછા એક ડજન ઉમેદવારોએ દાવેદારી નોંધાવતાં ભાજપના હાઈકમાન્ડ માટે પણ ઉમેદવારોની પસંદગી પેચીદો પ્રશ્ર્ન બન્યો છે. ગઈકાલે દરેક બેઠક માટે પ્રદેશ નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી આજે સાંજ સુધીમાં બેઠક વાઈઝ રિપોર્ટ ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિને સુપ્રત કરવામાં આવનાર છે અને આવતીકાલે મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાનાર છે તેમાં દરેક બેઠક માટે ત્રણ ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કરી રાષ્ટ્રીય ચૂંટણી સમિતિને સુપ્રત કરી દેવામાં આવનાર છે.
જ્યારે આગામી ગુરૂવારે દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાનાર છે. તેમાં ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારો અંગે મનોમંથન કર્યા બાદ કેટલીક બેઠકોના ઉમેદવારો ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જાહેર કરી દેવામાં આવે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે.
ગુજરાતમાં વડાપ્રધાનના પ્રવાસ બાદ અચાનક જ ભાજપ દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટાભાગના ટીકીટ દાવેદારો ઉંઘતા ઝડપાયા હતાં અને અડધી રાત્રે સેન્સ અંગેના મેસેજ મળતાં રાત્રે જ લોબીંગ માટે દોડધામ કર્યા બાદ બપોરે ઉમેદવારી માટે નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. જો કે સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટાભાગનાં ભાજપના દાવેદારો ઉપરાંત સેન્સમાં અપેક્ષીત ભાજપના હોદ્દેદારો-પદાધિકારીઓ સહિતનાએ પાર્ટી નક્કી કરે તે શિરો માન્ય હોવાનો સૂર વ્યકત કર્યો હતો. આમ છતાં દરેક બેઠક માટે વ્યક્તિગત દાવા અને રજૂઆતો પણ થવા પામી હતી.
લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોનું મનોમંથન શરૂ થયું છે ત્યારે રાજ્ય સભામાંથી જેમની મુદત પુરી થઈ રહી છે તેવા કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા ઉપરાંત પરસોત્તમભાઈ રૂપાલા ઉપર સૌની નજર છે. આ બન્ને કદાવર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે છે કે કેમ ? તે અંગે સૌ મીટ માંડીને બેઠા છે. આ સિવાય ભાજપના ચાણકય મનાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણી લડે છે કે અન્ય કોઈ રાજ્યમાંથી ચૂંટણી લડવા જશે તે અંગે પણ સસ્પેન્સ પ્રર્વતી રહ્યો છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, માજી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતનાં નેતાઓ પણ લોકસભાની ચૂંટણી લડશે કે કેમ ? તે અંગે ભારે ઈંતેજારી પૂર્વક રાહ જોવાઈ રહી છે.
રાજ્યસભામાં ટર્મ પૂર્ણ થયેલ બે દિગ્ગજ નેતાઓના લોકસભા લડાવવાનું ભાજપ મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેમાં મનસુખ માંડવિયા અને પુરૂૂષોત્તમ રૂૂપાલાને લોકસભાની ચૂંટણીમાં નામ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ચૂંટણી લડશે. ત્યારે આ સિવાયની બેઠકોનાં નામ દિલ્હી ખાતે મળનારી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક બાદ જાહેર થાય તેવી સંભાવના છે.યારે મહેસાણા બેઠક માટે નીતિન પટેલ અને રજની પટેલે પણ ટીકીટ માંગી હોવાથી ભાજપના આ બન્ને વગદાર નેતાઓમાંથી કોને ટીકીટ મળશે ? તે અંગે સસ્પેન્સ જોવા મળી રહ્યો છે. જો કે કદાચ આ બન્ને નેતાઓ વચ્ચે ત્રીજો પણ ફાવી જાય તેવી શકયતા જાણકારો દર્શાવી રહ્યાં છે.
ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો કબ્જે કરવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું છે.ત્યારે આ વખતે ભાજપ દ્વારા પાંચ લાખથી ઓછા માર્જિનથી બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.તો બીજી તરફ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય તો શરૂૂ કરી દીધા છે.પરંતુ કોને ટિકિટ આપવીએ બાબતે હજુ મોવડી મંડળ અસમંજસ સ્થિતિમાં છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોવડી મંડળ મોટા ભાગના સાંસદોને રિપીટ નહિ કરે તેવું અંદરો અંદર ચર્ચાએ જોર પકડ્યું છે.
અમિત શાહની બેઠક ઉપર કોઈએ દાવેદારી નોંધાવી નહીં
ભાજપના વિવિધ અગ્રણી હોદ્દેદારો દ્વારા વિવિધ લોકસભા મત વિસ્તારમાં જઈ સેન્સ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કેટલીક બેઠકો પર એકથી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી ગત વખતે લડેલી બેઠક ગાંધીનગર પર કોઈએ દાવેદારી ન નોંધાવી હોવાનું સામે આવ્યું છે.જેનાથી કઈ શકાય કે, સર્વાનુમતે અમિત શાહને આ બેઠક પરથી રીપિટ કરવામાં આવશે.