સાધના કોલોનીમાં જર્જરિત આવાસ ઇમારત ધરાશાયી
મહાનગરપાલિકાએ અગાઉથી ખાલી કરાવી નાખી હોવાથી મોટી જાનહાનિ ટળી
શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી જર્જરીત આવાસની એમ-73 ઈમારત આજે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. હા બિલ્ડીંગ પહેલા મહાનગરપાલિકાએ ખાલી કરાવેલ હોવાથી સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાલી કરવામાં આવેલી આ ઈમારતની હાલત જર્જરિત હોવાના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં આવેલી અન્ય એક ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.
આજે રાત્રે ઈમારત ધરાશાય થતા સ્થાનિક રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા અને મનપાના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આ વિસ્તારમાં આવેલી અન્ય જર્જરિત ઈમારતોને તાત્કાલિક ધોરણે તોડી પાડવાની માંગ કરી છે.
મેયર સહિત મનપાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.