રાજકોટમાં સિવિલના ડોકટર અને મનપાના કર્મીના હાર્ટએટેકથી મોત
- આધેડ અને યુવાનને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં કલ્પાંત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે માનવ જિંદગીને હૃદય રોગનો હુલો પડખી ગયો હોવાની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને રાજકોટ મનપાના ટેક્સ વિભાગના પ્યુનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આકાશવાણી ચોક પાસે આવેલી પરિમલ સોસાયટીમાં રહેતા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ગોવિંદભાઈ હુંબલ નામના 57 વર્ષના ડોક્ટર પોતાના ઘરે હતા ત્યારે સવારના સાતેક વાગ્યાના અરસામાં તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા તબીબને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજેશભાઇ હુંબલ ત્રણ ભાઈમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે અને પુત્ર પણ ડોક્ટર છે રાજેશભાઈ હુંબલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટની ભાગોળે આવેલા રતનપર ગામે રહેતા અને રાજકોટ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હરેશભાઈ વજેસિંહભાઈ બારડ નામનો 41 વર્ષનો યુવા પોતાના ઘરે હતો ત્યારે સવારના બેભાન હાલતમાં તળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મૃતક હરેશભાઈ બારડ તેની માતાના આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને હરેશભાઈ બારડને પણ સંતાનમાં એક જ પુત્ર છે હરેશભાઈ બારડ પોતાના ઘરે બેઠા હતા. ત્યારે અચાનક આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.