પુત્રવધૂને ચડાવવાના રૂા.4.84 લાખના દાગીના ભરેલા થેલાની ઈકોમાંથી ચોરી
રાજકોટ જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ગોંડલના શ્રીનાથગઢ ગામે જાનમાથી પરત આવ્યા બાદ પુત્રવધુને ચડાવવાના દાગીના ઈકો કારમાં જ રાખી દીધા હતાં જે ઈકો કારને તસ્કરોએ નિશાન બનાવી પુત્રવધુને ચડાવવા માટેના રૂા.4.84 લાખના સોના ચાંદીના ભરેલા દાગીના ભરેલા થેલા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના શ્રીનાથગઢ ગામે આંબેડકરનગરમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા જેન્તીભાઈ કાલાભાઈ બાબરીયા (ઉ.63)એ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનાં દિલ્હી ખાતે રહેતા પુત્ર શાંતિલાલના ગત તા.10-2-2024નાં સુરેન્દ્રનગરથી નિલમ ગજેન્દ્ર ચાવડા સાથે લગ્ન થયા હતાં. શ્રીનાથગઢ ગામેથી સુરેન્દ્રનગર જાન ગઈ હતી અને સાંજે આઠ વાગ્યે જાન પરત ફરી હતી.
પુત્રવધૂને ચડાવવા માટેના 4,35,000ની કિંમતના 146 ગ્રામ સોનાના દાગીના અને 49 હજારની કિંમતના 1400 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૂા.4.84 લાખની કિંમતના દાગીના ભરેલ થેલો ઈકો ગાડીમાં રાખ્યો હોય ત્રણ કલાક રેઢી પડેલી ઈકો કારમાંથી તસ્કરો દાગીના ભરેલ થેલો ઉઠાવી ગયા હતાં.
સુરેન્દ્રનગરથી જાન પરત ફર્યા બાદ ઘરે ધાર્મિક વિધી પૂર્ણ કર્યા બાદ રાત્રે 11 વાગ્યે દાગીના ભરેલ થેલો યાદ આવતાં ઈકો કારમાં તપાસ કરવા જતાં થેલો ચોરાઈ ગયાનું જાણવા મળ્યું હતું. જેમાં સોનાનો બુટીનો સેટ, લોકેટ, હાથનો પંજો, ચેઈન, કડલી, કાનની સેર, બુટીયા, ટીકો, કાનની કડી, વિંટી, પટ્ટીવાળી બંગળી, ચાંદીના છળા, જુડો, કંદોરો સહિતની ચીજવસ્તુઓ ચોરાઈ ગઈ હોય પોલીસે આ અંગે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કર ગેગની તપાસ હાથ ધરી છે.