રાજકોટમાં એમબીએના 22 વર્ષના છાત્રનું હાર્ટએટેકથી મૃત્યુ
- માતા-પિતાના આધાર સ્થંભ એકના એક પુત્રના મોતથી પરિવારમાં ઘેરો શોક
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં કોલેજીયન યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજયુ હતું. માતા-પિતાના આધાર સ્થંભ એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કમાં રહેતા અને આત્મીય કોલેજમાં એમબીએમાં અભ્યાસ કરતા કશ્યપ જગદીશભાઈ ખીરા નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગર નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે યુવાનનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કશ્યપ ખીરા આત્મીય કોલેજમાં એમબીએમાં અભ્યાસ કરતો હતો અને તેના માતા-પિતાને આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો એમબીએના છાત્ર કશ્યપ ખીરાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.