રાજકોટ જિલ્લાના 710 ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ રદ
ચૂંટણી પંચના અધ્યક્ષ પી.ભારતી સાથેની વીડિયો કોન્ફરન્સ બાદ લેવાયો નિર્ણય : બે મહિનામાં ચૂંટણી કાર્ડ પણ મતદારને મળી જશે
લોકસભાની ચુંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મતદારયાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મતદાર યાદીની પ્રસિધ્ધી પહેલા તેમાં રહેલી ખામીઓનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ગઈકાલે રાજ્યના ચુંટણી પંચના અધ્યક્ષ પી.ભારતી સાથેની વીડિયો કોન્ફરન્સ બાદ રાજકોટ જિલ્લાના 710 જેટલા ડુપ્લીકેટ ચુંટણી કાર્ડ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકસભાની ચુંટણીની તૈયારી રૂપે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પુર્ણ થયા બાદ નવા ફોર્મની ડેટાએન્ટ્રી શરૂ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં 1.07.320 ફોર્મ મળ્યા હતા. જેમાં 29 હજાર જેટલા નવા મતદાર યાદીમાં નામ ઉમેરવાના તેમજ અવસાન પામેલા મતદાર યાદીના નામ કમી કરવાના આ ઉપરાંત મતદારયાદીના નામમાં સુધારા અને સરનામા ટ્રાન્સફર સહિતના ફોર્મ મળ્યા હતા. જેની ડેટા એન્ટ્રી કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં 46,703 ફોર્મની ડેટાએન્ટ્રી કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને નવા ઉમેરાયેલા નામની જ ડેટા એન્ટ્રી કરવામાં આવી છે.
ગઈકાલે રાજ્યના ચૂંટણી પંચના અધ્યક્ષ પી.ભારતીની વીડિયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લાના 710 જેટલા ડુપ્લીકેટ ચુંટણી કાર્ડ હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેમાં એક સરખા ફોટોગ્રાફ્સ હોય એક સરખા નામ ધરાવતા હોય કે એક સરખા સરનામા ધરાવતા મતદાર ઓળખકાર્ડ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુથ લેવલ ઓફિસરો દ્વારા આ 710 જેટલા ઓળખપત્રની ખરાઈ કર્યા બાદ તેને રદ કરીદેવામાં આવશે.
આ તકે રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં રાજકોટ જિલ્લો ચુંટણીની કામગીરીમાં અને મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં મોખરે રહ્યો છે. ડેટા એન્ટ્રીમાં પણ રાજકોટ જિલ્લો આગળ રહ્યો છે. અને નવા ઉમેરાયેલા મતદારોના નામની યાદી મુંબઈ ખાતે આવેલ વડી કચેરીએ મોકલી દેવામાં આવી છે અને બે મહિનામાં યુવા મતદારો અને નવા નોંધાયેલા નામોના મતદારોને તેમના ઘરે જ ચુંટણી કાર્ડ મળી જશે તે રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચુંટણી પંચે વધુમાં તેવો આદેશ કર્યો હતો કે, ઓનલાઈન ડેટા એન્ટ્રી બંધ થઈ ગયા બાદ દરેક જિલ્લાના ચુંટણી અધિકારીઓ દ્વારા ઓફલાઈન ડેટા એન્ટ્રી કરી દર મહિને તેની પ્રીન્ટ ચુંટણી પંચને અને મુંબઈ ખાતે આવેલી વડી કચેરીને મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.