ડેન્ગ્યુથી 7 વર્ષના બાળકનું મોત: તંત્ર અજાણ
ચાર દિવસ પહેલાં રાજનગર પાસે સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવેલ
વરસાદી વાતાવરણમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેંગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત સોમવારે મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આરોગ્યના આંકડાઓમાં વધુ 9 કેસ ડેંગ્યુના નોંધાયા હતાં. તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ડેંગ્યુના દર્દીઓનો આંકડો તંત્ર દ્વારા આપવામાં આવતો નથી. ત્યારે જ ગઈકાલે ડેંગ્યુના લીધે સાત વર્ષના બાળકનું મોત થયાનું જાણવા મળ્યું છે. પરંતુ મનપાના આરોગ્ય વિભાગ પાસે આ દર્દીની વિગત ન હોય આરોગ્ય વિભાગે ડેંગ્યુથી મોત થયાનો ઈનકાર કર્યો છે.
છેલ્લા 20 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાઓ વરસતા ચોખ્ખા પાણીમાં પનપતા એડીસ મચ્છરોનું જોર વધવાલાગ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય લક્ષી કામગીરી દરમિયાન ગત સોમવારે ડેંગ્યુના 9 કેસ નોંધાયા હતાં. જેની સામે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા અસંખ્ય ડેંગ્યુના કેસ બહાર આવ્યા નથી. પરિણામે ફક્ત મનપા દ્વારા કરવામાં આવતી આરોગ્ય લક્ષી કામગીરીના આંકડાઓ જાહેર થતાં હોય છે. જેમાં ગઈકાલે એક સાત વર્ષના બાળકનું મોત થયાનું બહાર આવ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ નાનામૌવા મેઈન રોડ ઉપર રાજનગર ચોક પાસે આવેલ સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં આ બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ ડેંગ્યુ પોઝેટીવ આવ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું જાણવા મળેલ છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેંગ્યુ વિરોધી અભિયાન છેડવામાં આવ્યું છે. પરંતુ હોસ્પિટલોમાંથી ડેંગ્યુના દર્દીઓના આંકડાઓ મેળવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હોય તેમ ગઈકાલે ડેંગ્યુના કારણે એક બાળકનું મોત નિપજ્યું છે. છતાં આરોગ્ય વિભાગ પાસે આ અંગેની કોઈ માહિતી ન હોવાનું તેમજ આ બાળકનું મોત ડેંગ્યુથી નથી થયું તેમ પણ જણાવવામાં આવ્યું છે. આમ ડેંગ્યુના ઉછાળા સામે આરોગ્ય વિભાગ દ્વારા પણ આંકડાઓ જાહેર કરવામાં અને ડેંગ્યુથી થયેલા મોતની વિગત પણ છુપાવવામાં આવતી હોયતેવું લાગી રહ્યું છે.
રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલોમાં હાલ ડેંગ્યુના અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યાનું જાણવા મળ્યું છે. ડોર ટુ ડોર કામગીરી મોટેભાગે સ્લમ વિસ્તારો અથવા મધ્યમ વર્ગીય વિસ્તારોમાં જ થતી હોય છે. ધનાધ્ય પરિવારોના ઘરે આરોગ્ય વિભાગની ટીમ ક્યારેય ચેકીંગ માટે જતી નથી આથી આ પ્રકારના પરિવારોમાં ડેંગ્યુનો કેસ આવે ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાતી હોય છે. જેથી આ પ્રકારના અસંખ્ય ડેંગ્યુના દર્દીઓને સાચો આંકડો ક્યારેય બહાર આવતો નથી. ત્યારે સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ પામેલા બાળકના બનાવમાં પણ બનવા પામ્યું છે.