આચારસંહિતા પહેલાં મનપાના 610 કરોડના કામોને મંજૂરી
- 244.47 કરોડના લોકાર્પણ અને 365.82 કરોડના ખાતમુહૂર્ત સહિત 29 કામ ફાઈનલ કરાયા
લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે મહાનહગરપાલિકાએ 152 ટેન્ડર બહાર પાડ્યા છે. જે તમામ કામો ચાલુ થવાની શક્યતા નથી પરંતુ ચુંટણી નજીક હોવાના કારણે આચારસંહિતા લાગુ પડે તે પહેલા વિકાસના કામો વધુમાં વધુ ચાલુ થઈ જાય તેવી આગમચેતી વાપરી કોર્પોરેશને ખાતમુહુર્ત અને લોકાર્પણ સહિતના 610 કરોડના 29 કામો ફાઈનલ કરી શરૂ કરાવી દીધા છે. તેવી જ રીતે હાલમાં ટેન્ડર પ્રસિધ્ધ થયેલ છે. તે પૈકી ઝોનલ કોન્ટ્રાક્ટ સહિતના મુદત વધારાના કામો પણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ડીઆઈપાઈપલાન, ડ્રેનેજ ગટર, રોડ રસ્તા તેમજ ઈએસઆર, જીએસઆર અને મોટા પ્રોજેક્ટોના કામ સતત ચાલુ રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી વધુમાં વધુ વિકાસના કામો મંજુર કરી ચાલુ કરી દેવામાં આવે તે મુજબની કામગીરી હાથ ધરાઈ હતી દરેક વિભાગને તેમના થતાં મેક્સીમમ કામોના ટેન્ડર કરવાની અને હયાત કામો ઝડપથી પૂરા કરી તેનું લોકાર્પણ તથા નવા કામોના ખાતમુહુર્ત સહિતના કામોની યાદી તૈયાર કરવાની સુચના આપવામાં આવી હતી. જેના કારણે ગત શનિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને આચાર સહિતા લાગુ પડી તે પહેલા લોકઉપયોગી અને પાયાની જરૂરિયાતવાળા મોટાભાગના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. આચારસંહિતા પહેલા અલગ અલગ પ્રકારના 610 કરોડના 29 કામો શરૂ કરવામાં આવ્યા છે. જેપૈકી અમુકનું લોકાર્પણ અને ખાતમુહુર્ત પણ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પ્રસિધ્ધથયેલ ટેન્ડરો પૈકી ઈમરજન્સી હોય તેમાં ઝોનલ કોન્ટ્રાક્ટમાં મુદત વધારો તેમજ ચાલુ કોન્ટ્રાક્ટના ખર્ચમાં વધારો સહિતના કામોને મંજુરીની અપેક્ષાએ બહાલી આપવામાં આવશે. જેના કારણે પાયાની જરૂરિયાતવાળા ચાલુ રહેલા કામોમાં વિક્ષેપ ન આવે અને એજન્સીને નુક્શાની ન જાય તે પ્રકારની કામગીરી આચારસંહિતા દરમિયાન કરવામાં આવશે. તેવી જ રીતે કોઈ નવા પ્રોજેક્ટ કે નવા કામના ટેન્ડર મંજુર કરવામાં નહીં આવે અને કોઈપણ કામની જાહેરાત પણ આચારસંહિતાના કારણે કરવામાં નહીં આવે.
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવેલ કે, મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં નવા ભળેલા પાંચ ગામોમાં વિકાસના કામો પુરઝોશમાં ચાલી રહ્યા છે. છેવાડાના વિસ્તારોમાં રોડ-રસ્તા અને ડ્રેનેજ સહિત પીવાના પાણીની સુવિધા ઝડપીરીતે પુરી પાડી શકાય તે હેતુથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરી ખર્ચની મંજુરી મેળવી કામ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આચારસંહિતા પહેલા લોકાર્પણના રૂા. 244.47 કરોડના 6 પ્રોજેક્ટ તેમજ રૂા. 350.82 કરોડના 23 પ્રોજેકટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. આમ કુલ 29 પ્રોજેક્ટના રૂા. 610.29 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. જે પૈકી ખાતમુહુર્ત થયેલા તમામ કામો તેની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આથી આચારસંહિતાના બેમાસના સમયગાળા દરમિયાન વિકાસના મોટાભાનગા કામો ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.