ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે 55 ઉમેદવારો મેદાનમાં
સોમવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે સોમવારના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 9 બેઠક પર 55 ઉમેદવારે 73 ફોર્મ ભર્યાં હતાં, જેમાં સૌથી વધુ સંચાલક મંડળની બેઠક માટે 14 ઉમેદવારો દ્વારા 19 ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળે છે. સંચાલક મંડળ દ્વારા છેલ્લી ઘડી સુધી પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર નહોતા કર્યા.
મળતી વિગતો મુજબ, જે.પી. પટેલ, જે.વી. પટેલ, એ.કે. ભરવાડ અને દિલીપ ચૌધરીએ સંચાલક મંડળ તરફ્થી ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ માન્ય રહ્યા બાદ ચાર પૈકી માન્ય ઉમેદવાર સિવાયના બાકીના 3 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચશે. આ ઉપરાંત સંચાલક મંડળની બેઠક પરથી મંડળના સભ્ય હોય તેવા બે ઉમેદવાર ડો. પ્રિયવદન કોરાટ અને ધારિણીબેન શુક્લએ પણ સીધા જ ફોર્મ ભર્યા છે.
આ ચૂંટણીમાં બી.એડ. પ્રિન્સિપાલની બેઠક માટે રાજકોટના ઉમેદવાર નિદત બારોટે ચાર ફોર્મ ભર્યા છે. તેમના સિવાય અન્ય કોઈએ ફોર્મ ભર્યા ન હોવાથી આ બેઠક બિનહરીફ્ જાહેર થશે. આ સિવાય અન્ય એક બેઠક પણ બિનહરીફ્ થવાની શક્યતા છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે 2 ઉમેદવાર દ્વારા 3 ફોર્મ ભરવામાં આવ્યા છે. સંચાલક મંડળની બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શક્યતા છે. સંચાલક મંડળના માન્ય ઉમેદવાર ઉપરાંત બળવાખોર ઉમેદવાર અને ખાનગી શાળા સંચાલક મંડળના ઉમેદવાર વચ્ચે સંચાલક મંડળની બેઠકને લઈને જંગ જામશે. આચાર્યની બેઠક માટે 6 ઉમેદવારોએ 7 ફોર્મ ભર્યા છે. ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય- શિક્ષક બેઠક પર 5 ઉમેદવારોએ 6 ફોર્મ, માધ્યમિક શિક્ષક માટે 4 ઉમેદવારે પાંચ ફોર્મ, વહીવટી કર્મચારી બેઠક માટે 9 ઉમેદવારોએ 10 ફોર્મ, સરકારી શાળાના શિક્ષક માટે 9 ઉમેદવારોએ 10 ફોર્મ અને વાલી મંડળની બેઠક માટે 5 ઉમેદવારોએ 8 ફોર્મ ભર્યાં છે.