સાયબર ફ્રોડમાં સંડોવાયેલા રેશનિંગના 11 વેપારીઓને 46 લાખનો દંડ
કુલ 21 વેપારીની સંડોવણી ખુલતા દુકાનને સીલ મારી દીધા હતા, અગાઉ 10 વેપારીને 42 લાખનો દંડ કરાયો’ તો
રાજ્યમાં ગરીબોને ફાળવવામાં આવતા સસ્તા અનાજનો જથ્થો બારોબાર વહેંચી નાખવાના જબરજસ્ત કૌભાંડનો થોડા સમય પહેલા પર્દાફાશ થયો હતો. જેમાં સાયબર ફ્રોડ વેચીને રાજ્યના અનેક સસ્તા અનાજ વેપારીઓ દ્વારા બોગસ ફીંગર પ્રીન્ટના આધારે ગરીબોને ફાળવવામાં આવતો સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવાનું કૌભાંડ ખુલ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના પણ 21 રેશનીંગના વેપારીની સંડોવણી ખુલતા પુરવઠા દ્વારા આ દુકાનોને સીલ મારી દીધા હતા જે અંગેનો કેસ જિલ્લા કલેક્ટર સમક્ષ ચાલી જતા 11 રેશનીંગના વેપારીને 46 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કૌભાંડ અંગેની જાણવા મળતી વિગત મુજબ બે વર્ષ પહેલા બનાસકાંઠા અને અમદાવાદમાંથી રેશનીંગનો જથ્થો બારોબાર વેચી નાખવાનો જબરું કૌભાંડ બહાર આવ્યું હતું. જે અંગે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરતા સસ્તા અનાજના વેપારી દ્વારા બીપીએલ અને અંત્યોદય કાર્ડના ધારકોને બોગસ ફીંગરપ્રીન્ટ મેળવી તેમના નામે જથ્થો ઉધારી બારોબાર વેચી નાખતા હતા. સાયબર ફ્રોડની આ તપાસમાં રાજકોટ જિલ્લાના પણ 21 વેપારીઓની સંડોવણી ખુલતા જે-તે વખતે આ તમામ રેશનીંગની દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. અને આ અંગે તમામ વેપારીઓ સામે કેસ પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના 21 રેશનીંગના વેપારીઓ સામે થયેલા સાયબર ફ્રોડના કેસમાં અગાઉ 10 વેપારીઓને જિલ્લા કલેક્ટરે 42 લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. દંડ ભરે તો જ આ તમામ વેપારીઓ પોતાની દુકાન ફરી શરૂ કરી શકશે અને તેમને ફરીથી રેશનીંગના લાયસન્સ ઈસ્યુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કેસમાં બાકી રહી ગયેલા 11 વેપારીઓને પણ આજે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પૂર્વઠા અધિકારી આર.કે. વંગવાણીની દરખાસ્તના આધારે સુનાવણી પુરી કરી 11 વેપારીઓને 46 લાખનો દંડનો હુકમ કર્યો છે. આ 11 વેપારીઓ દંડની રકમ ભરશે તો જ તેમને રેશનીંગના લાયસન્સ ઈસ્યુ કરવામાં આવશે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા 11 રેશનીંગના વેપારીઓએ ડીપોઝીટ પેટે જમા કરાવેલ પાંચ-પાંચ હજારની રકમ પણ રાજ્યસાત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ 21 વેપારીઓ પાસેથી 48 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના રેશનિંગના 11 વેપારીઓની યાદી
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 11 રેશનીંગના વેપારીઓને 46 લાખનો દંડ કરાવમાં આવ્યો છે. ત્યારે રેશનીંગનાવેપારીઓમાં જેતલસરના યોગેશભાઈ મુળશંકરભાઈ મહેતાને 16.38 લાખનો દંડ, રાજકોટ દક્ષિણના રમીલાબેન હસમુખભાઈ ઝાલાવડિયાને 4.38 લાખનો દંડ, જેતપુરના સુખદેવભાઈ ભાઈશંકરભાઈ જોશીને 3.11 લાખનો દંડ, રાજકોટ ત્રંબાના મનીષભાઈ નટવરલાલ જોબનપુત્રાને 82404, જેતપુર નવાગઢના કાજી યાહાભાઈ ગફારભાઈને 1.78 લાખનો દંડ, જેતપુરના હિતેશભાઈ જગદીશભાઈ ત્રિવેદીને 1.68 લાખનો દંડ, રાજકોટ દક્ષિણના સોભનાબેન શૈલેષભાઈ પીપળિયાને 4.60 લાખનો દંડ, રાજકોટ પશ્ર્ચિમના રાકુશા દિનાબેન સુરેશભાઈને 2.48 લાખનો દંડ, રાજકોટ માલિયાસણના ગોવિંદરામ હરિરામ હરિયાણીને 10.36 લાખનો દંડ અને જેતપુર નવાગઢના વિજયગીરી ગણપતગીરી ગોસાઈને 42,447નો દંડ કરવામાં આવ્યો છે.