ચંદ્રેશનગર ઝોન હેઠળના 45000 ઘરોમાં મળશે 24 કલાક પાણી
અભેરાઈએ ચઢાવી દીધેલ ફાઈલ ફરી ખુલી, મીટર, લાઈન મેન્ટેનન્સનું કામ ટુંક સમયમાં શરૂ કરાશે
રાજકોટ શહેરની વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો સૌની યોજનાએ અંત લાવી દીધો છે. પરંતુ પાણીનો બગાડ વધુ થતો હોય મહાનગરપાલિકા દ્વારા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે વોર્ડ નં. 8,10 અને 11ના વિસ્તારમાં આવેલ ચંદ્રેશનગરઝોન હેઠળ 24 કલાક મીટર આધારીત પાણી વિતરણ પ્રોજેક્ટ 3 વર્ષ પહેલા અમલમાં મુક્યો હતો મીટર ફીટીંગ સહિતની કામગીરી અને ટેસ્ટીંગ પૂર્ણ થયા બાદ પાણી કેવી રીતે આપવું અને ક્યાથી આપવું તે મુદ્દે નિર્ણય ન લેવાતા આ પ્રોજેક્ટ અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવેલ જેની ફાઈલ હવે ફરી ખુલી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, ફીટ કરવામાં આવેલા મીટરો તેમજ લાઈનોનું મેન્ટેનન્સ કામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. આથી ટુંક સમયમાં ચંદ્રેશનગર ઝોન હેઠળના 45 હજાર ઘરોમાં 24 કલાક મીટર આધારીત પાણી વિતરણ યોજનાનો પ્રારંભ થશેતેવું લાગી રહ્યું છે.
શહેરના મીટર આધારીત 24 કલાક પીવાનું પાણી મળી રહે તેવી યોજના મહાનગરપાલિકાએ તૈયાર કરી હતી. પાઈલોટ પ્રોજેક્ટ તરીકે વોર્ડ નં. 8, 10 અને 11માં આવતા ચંદ્રેશનગર ઝોન વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી. ઘરે ઘરે મીટર આધારીત પાણી આપવા માટે પ્રથમ તમામ વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નાખવામાં આવી હતી. ત્યાર બાદ એજન્સી દ્વારા ઘરે ઘરે પાણીના મીટર મુકવાની શરૂઆત કરવામાં આવેલ જે પ્રક્રિયા એક વર્ષ સુધી ચાલી હતી મીટર ફીટ થઈ ગયા બાદ ડીઆઈ પાઈપલાઈનનું પ્રેશર ચેક કરવા અને મીટર યુનિટ સહિતના ચેકીંગ માટે પાણી વિતરણ કરી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જે સફળ રહ્યું હતું. અને ટુંક સમયમાં આ વિસ્તારના 45 હજાર ઘરોમાં 24 કલાક પાણી આપવાની તૈયારીઓ પણ મહાનગરપાલિકાએ આરંભી હતી. પરંતુ ઉનાળા દરમિયાન દરરોજ 20 મીનીટ પાણી આપવામાં પણ ધાંધિયા થતાં હોય એક વિસ્તારમાં 24 કલાક પાણી કઈ રીતે આપવું તે મુદ્દે તંત્ર મુંઝાયું હતું.
મનપાના વોટરવર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ચંદ્રેશનગર ઝોન હેઠળના 45 હજાર ઘરોમાં મીટર આધારીત 24 કલાક પાણી વિતરણ યોજના માટે વર્લ્ડબેંક દ્વારા રૂા. 100 કરોડની સહાય કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રોજેક્ટનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઘરે ઘરે મીટર ફીટ કર્યા બાદ હાલ તમામ ઘરોમાં જીરો બીલ આપવામાં આવી રહ્યું છે. પરંતુ પાણી રાબેતા મુજબ અન્ય વિસ્તારોની માફક 20 મીનીટ આપવામાં આવે છે. ત્રણ વર્ષ પહેલા ફીટ કરવામાં આવેલા મીટરો તેમજ અન્ય ઉપકરણો હવે ખરાબ થઈ ગયા હોય તેમજ નિયમ મુજબ દર ત્રણ વર્ષે તેનું મેન્ટેનન્સ કરવાનું થતું હોય હાલતમામ મીટરનું રિપેરીંગ તેમજ ચેકીંગ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે કામ પૂર્ણ થયા બાદ 24 કલાક પાણી વિતરણ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે.
યુનિટના દર નક્કી ન થતા યોજના અટકી
શહેરના ચંદ્રેશનગર ઝોન હેઠળના 45 હજાર ઘરોમાં 24 કલાક મીટર આધારીત પાણી વિતરણનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ પહેલા મીટર ફીટ કરી ટેસ્ટીંગ પણ કરી લેવાયું છે. પરંતુ પાણી ન હોવાથી હાલ પુરતો પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. જેની સામે અન્ય શહેરોની માફક રાજકોટ મહાનગરપાલિકા મીટર આધારીત પાણી વિતરણમાં યુનિટના દર નક્કી ન કરી શકતા યોજના અટકી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે. આથી 24 કલાક પાણી વિતરણમાં યુનિટના દર કઈ રીતે રાખવા તેનો નિર્ણય આજ સુધી લેવાયો નથી. તેમ પણ જાણવા મળેલ છે.