જામનગરમાં આર્મીમેન સાથે ભાગીદારીના બહાને 35 લાખની છેતરપિંડી
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને હાલ કોસ્ટ ગાર્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મી મેન અશોકકુમાર કૃષ્ણભાઈ સોલંકી (મરાઠી) એ પોતાની સાથે રૂૂપિયા 35 લાખની છેતરપિંડી કરવા અંગે ગાંધીનગર નજીક ગોકુલધામ સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ ભાઈસાબભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અશોકકુમાર સોલંકી, કે જેઓ આર્મીમાં ફરજ બજાવતા હતા, અને નિવૃત્ત થયા બાદ તેઓને પોતાની પેન્શનની રકમ મળી હતી.
જે રકમ માંથી આરોપી પ્રવિણસિંહ જાડેજા કે જેણે કટકે કટકે 2011 ની સાલથી 2023 ની સાલ સુધીના સમયગાળા દરમિયાન ભાગીદારીનું બહાનું બતાવીને કુલ 35 લાખ મેળવી લીધા હતા, ઉપરાંત પોતાની જામનગર અને જામજોધપુરમાં જમીન આવેલી છે, જેનું વેચાણ કર્યા બાદ પોતે પૈસા પરત આપી દેશે, તેવું પણ પ્રલોભન આપ્યું હતું. પરંતુ કટકે કટકે મેળવી લીધેલી 35 લાખની રકમ પરત માંગવા જતાં હાથ ખંખેર્યા હતા, અને પૈસા પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી નિવૃત્ત આર્મીમેંન દ્વારા આ મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો, અને આરોપી વિરુદ્ધ અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને પોલીસે અશોકકુમાર સોલંકીની ફરિયાદના આધારે આરોપી પ્રવિણસિંહ જાડેજા સામે આઈપીસી કલમ 420 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
