રાજનગર આવાસના 35 નળ-વીજજોડાણ કપાતા લાભાર્થીઓ વિફર્યા
રિપેરિંગ માટે નોટિસ આપવા છતાં કાર્યવાહી ન કરાતા મનપાએ કડક કાર્યવાહી હાથ ધરતા સ્ટેન્ડિંગ ચેરમેનને લાભાર્થીઓની રજૂઆત
ચોમાસાની શરૂઆત થતાં શહેરના જર્જરીત મકાનોનો સર્વે કરી મહાનગરપાલિકાએ નોટીસો આપવાનો પ્રારંભ કર્યો છે. અંદાજે 530થી જર્જરીત ઈમારતો તેમજ અન્ય એકમોને નોટીસ આપ્યા બાદ આવાસ યોજનાનો સર્વે કરવામાં આવેલ જેમાં અગાઉ બે આવાસ યોજનાને આવાસો ખાલી કરવાની નોટીસ આપ્યા બાદ હવે લક્ષ્મીનગરમાં આવેલ રાજનગર આવાસ યોજનાને પણ ખાલી કરવાની તેમજ મરમત કરવાની નોટીસ આપવા છતાં લાભાર્થીઓએ રિપેરીંગ ન કરતા આજે 35થી વધુ આવાસના નળ અને વિજ જોડાણો કાપી નખાતા લાભાર્થીઓએ તેનો વિરોધ કરી કોર્પોરેશનની કચેરીખાતે આવી રિપેરીંગ માટે સમય આપવા માટેની સ્ટેન્ડીંગ ચેરમેનને રજૂઆત કરી હતી.
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કોર્પોરેશનનું તંત્ર વધુ સતર્ક બની ગયું છે. માનવીય બેદરકારીને કારણે કોઈ જીવલેણ દુર્ઘટના ન બને તે માટેના પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે.શહેરભરમાં જર્જરીત ઈમારતોને નોટિસ આપી ખાલી કરવામાં આવી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના બે સ્થળે આવેલા ક્વાર્ટરને પણ નોટિસ આપી ખાલી કરાવવામાં આવ્યા છે. દરમિયાન આજે સવારે રાજનગર વિસ્તારમાં પીજીવીસીએલ કચેરીની સામે કોર્પોરેશનની આવાસ યોજનાના જર્જરીત 35 જેટલા ક્વાર્ટરના નળ અને વીજ જોડાણ કપાત કરી નાખવામાં આવ્યા હતા. ટોળું રજૂઆત કરવા માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યું હતું. રીપેરીંગ માટે સમય આપવાની માંગણી કરી છે.
આ અંગ પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વર્ષ 1996-97 માં આવાસ યોજના બનાવવામાં આવી હતી જેમાં આશરે 100 જેટલા ફ્લેટ બનાવવામાં આવ્યા છે.હાલ અહીં 35 જેટલા ફ્લેટમાં લોકો વસવાટ કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા રીપેરીંગ કરવા માટે નોટિસ આપવામાં આવે છે છતાં આવાસ ધારકો દ્વારા રીપેરીંગની કામગીરી કરવામાં આવતી નથી.દરમ્યાન આજે સવારે ડીએમસી ચેતન નંદાણી સહિતના અધિકારીઓ રૂૂબરૂૂ સ્થળ પર દોડી ગયા હતા. 35 જેટલા આવાસના નળ અને વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે અસરગ્રસ્તોનું મોટું તોડું કોર્પોરેશન કચેરી ધસી આવ્યું હતું. તેઓએ સીએમસી સમક્ષ રીપેરીંગ માટે સમય આપવામાં આવે એવી માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હવે કોર્પોરેશન ખુદ ફસાણું
મનપાએ લક્ષ્મીનગરમાં આવેલ રાજનગર આવાસ યોજના જર્જરીત થઈ જતાં આવાસ ખાલી કરાવવા માટે અગાઉ નોટીસ આપ્યા બાદ આજે 35 આવાસોના નળ અને વીજ જોડાણ કાપી નાખતા દેકારો બોલી ગયો હતો અને લાભાર્થીઓને આ મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેનને રજૂઆત કરી રિપેરીંગ કામ માટે સમય આપવાની માંગ કરી હતી. પરંતુ થોડા સમય પહેલા આનંદ નગર અને દૂધની ડેરી પાસે આવેલા હાઉસીંગબોર્ડના આવાસો ખાલી કરાવવા માટે નોટીસ આપેલ અને નળ જોડાણ પણ કાપેલ ત્યારે રજૂઆત કરવા આવેલા લાભાર્થીઓને આ જવાબદારી હાઉસીંગ બોર્ડની બને છે તેમ જણાવી હાથ ઉંચા કરી દીધા હતાં. પરંતુ હવે લક્ષ્મીનગરની રાજનગર આવાસ યોજના ખુદ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે વર્ષો પહેલા બનેલ આ આવાસ યોજના જર્જરીત થઈ ત્યાં સુધી કોર્પોરેશનના ધ્યાને કેમ ન આવી તેવો સવાલ આવાસ યોજનાના લાભાર્થીઓ કરી રહ્યા છે. આથી હવે આ આવાસ યોજનામાં ખુદ કોર્પોરેશન જ ફસાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.