પેડક રોડ ગૌરવપથ બનાવવાનો 31 કરોડનો પ્રોજેક્ટ ઘોંચમાં
ગેરેંટીવાળા રોડ પર ખાડા પડે તો?, એક પણ એજન્સીએ ટેન્ડર ન ભરતા રી-ટેન્ડર કરી તંત્ર મૂંઝવણમાં મુકાયું
રાજકોટ મહાનગરપાલિકા માટે આ વર્ષનુ ચોમાસુ ચિંતાજનક રહ્યું છે. પ્રથમ વરસાદે મોટાભાગના રોડ રસ્તાઓ તૂટી જતા લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ મુદે ઉહાપો બોલી જતા સરકારે પણ હવે રોડ રસ્તાના કામો તટસ્થ એજન્સી પાસે કરવવાની સૂચના આપી છે. જેના લીધે મલાઇના કામોમા કાયમી ટેન્ડર ભરવા ઉતાવળી થતી એજન્સીઓએ આવખતે 31 કરોડના પેડક રોડને ગૌરવપથ બનાવવાના કામમાં હાથ ઉચા કરી દેતા તંત્રએ ના છૂટકે રી-ટેન્ડર કરવાની ફરજ પડી છે અને હવે પછી કોઇ એજન્સી ટેન્ડર ન ભરેતો શું કરવું તે મુદે મુંઝવણમાં મુકાઇ ગયું છે.
રાજકોટ શહેરના હાલના 48 રાજમાર્ગો સિવાય નવા વિકસ્તા વિસ્તારોમાં વધુ ગૌરવપથ માર્ગો બનાવવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત પેડક રોડને ગૌરવપથ બનાવવા માટે 31 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ હતુુ. પરંતુ હાલની સ્થિતિએ પ્રથમ વરસાદે જ શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ તૂટી જતા આ મુદે ભારે ઉહાપો બોલી ગયો હતો. અને ખુદ મુખ્યમંત્રીએ તમામ વિભાગોને આદેશ જારી કરી નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરી સારા કામો કરનાર એજન્સીઓ પાસે નવા રોડ રસ્તા બનાવવામાં આવે તેવી સૂચના આપતા મહાનગરપાલિકાએ અન્ય રોડ રસ્તાઓના કામો માટે ટેન્ડર પ્રસિદ્ધ કરેલ જેમાં ઇસ્ટઝોનમાં એક સાથે છ વોર્ડના કરોડો રૂપિયાના રોડ બનાવવા પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરી છતા કોઇ એજન્સીએ હજૂ સુધી હાથ ઝાલ્યો નથી ત્યારે જ પેડક રોડ ગૌરવપથ બનાવવા માટે 31 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરેલ જેમા પણ ટેન્ડરની સમય મર્યાદા પૂર્ણ થતા એક પણ એજન્સીએ ટેન્ડર ભરેલ નથી તેમજ નિયમ મુજબ સિંગલ ટેન્ડર હોય તેવી શક્યતા હોવાથી ના છૂટકે પેડક રોડ ગૌરવપથ બનાવવા માટે રી-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ દરમિયાન દર વર્ષથી માફક આ વર્ષ પણ એકશન પ્લાન અંતર્ગત કરોડોના ખર્ચે નવા રોડ રસ્તા તેમજ રી-કાર્પેટ સહિતની કામગીરી સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા માંગણી મુજબની ગ્રાન્ટ ફાળવવામાં આવશે પરંતુ ઇસ્ટઝોનના છ વોર્ડના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ તેમજ પેડર રોડ ગૌરવપથ બનાવવાની કામગીરી ખોરભેં ચડી છે. ત્યારે એકશન પ્લાના તમામ 18 વોર્ડમાં રોડ રસ્તાના કામો થઇ શકશે કે કેમ તે અંગે અત્યારથી તંત્ર મંઝવણમાં મુકાઇ ગયું છે. જેની સામે અમૂક અધિકારીઓએ જણાવેલ છે કે, હવે પછીના રોડ રસ્તાના કામો માટે ઢીલ થશે પરંતુ સારી એજન્સીઓ જ ટેન્ડર ભરશે જેના લીધે લોકોને ટકાવ અને સારા રોડ રસ્તાઓ ઉપલબ્ધ થશે.