સ્વતંત્રતા પર્વે 91 બાળકો સહિત 255 નાગરિકોએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી
ગાઈડની સુવિધા ઉપલબ્ધ કરાવી મુલાકાતીઓ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાયો
મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ માટે વર્ષ 2023-24ના બજેટમાં નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને ગઈકાલ તા.15/08/2024ના રોજ સ્વાતંત્ર્ય પર્વના દિવસે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવેલ, જેમાં 91 બાળકો સહીત 255 નાગરિકોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત કરી હતી તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
આ મ્યુઝિયમમાં પૂજ્ય ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે. પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, ક્લોકરૂૂમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ રૂૂમ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે 7 વાગ્યે પૂજ્ય ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણથી આજ સુધીમાં 1938 વિદેશી મુલાકાતીઓ, 90,788 બાળકો સહીત કુલ 3,14,051 મુલાકાતીઓએ મુલાકાત લઇ અભિભૂત થયા છે. દર વર્ષે 26મી જાન્યુઆરી, 30મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને 2-જી ઓક્ટોબર નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે નિ:શુલક પ્રવેશ આપવામાં આવે છે.